રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે નાગરિકોની સલામતી માટે સતત ત્રણ દિવસથી ખડેપગે છે. આકાશી આફતના સમયે રાહત-બચાવ ટીમોએ અનેક નાગરિકોને મુસીબતમાંથી ઉગારીને સલામતસ્થળે ખસેડ્યા છે. ત્યારે કલેક્ટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ હજુ પણ રાહત-બચાવની ટીમો તૈનાત કરાઇ હતી. રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી તથા તાલુકા મામલતદાર કચેરીના કંટ્રોલ રૂમ ખાતે છેલ્લા ત્રણ દિવસ દરમિયાન આવેલા કોલમાંથી 55 લોકો અને શહેરી વિસ્તારમાં 48 લોકો મળીને કુલ 103 લોકોને રેસ્ક્યૂ કરાયા હતા.
ગોંડલ તાલુકામાં વેકરી ગામે વાડીમાં વરસાદી પાણીમાં ફસાયેલા 3 મજૂરને બહાર નીકળવામાં આવ્યા હતા. શ્રીનાથગઢ વાડી વિસ્તારમાં 1 સગર્ભા લક્ષ્મીબેનને ચાલુ વરસાદે પ્રસૂતિ કરાવવામાં આવી હતી અને નગરપાલિકા વિસ્તારમાં જર્જરિત મકાનની દીવાલ પડી જતા ઈજાગ્રસ્ત 9 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.