રાજકોટ મનપા દ્વારા સાંઢિયા પુલને હટાવીને રૂપિયા 62.5 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. જેનો બે વર્ષના સમયગાળો છે. આ માટે હાલ ભોમેશ્વર પાસેથી ડાઇવર્ઝન કાઢવામાં આવ્યું છે. ત્યાંથી વાહન વ્યવહાર ચાલુ કરાયો છે. મનપાને રેલવેએ ટ્રેક પરનો ભાગ તોડવા માટે ત્રણ માસની મથામણ બાદ રેલવેની મંજૂરી મળી ગઈ છે. ત્યારે ટૂંક સમયમાં મનપા દ્વારા ડાયમંડ કટિંગ ટેકનોલોજીથી રેલવે ટ્રેક પરનો ભાગ તોડવામાં આવશે. અને રૂપિયા 62.5 કરોડના ખર્ચે નિર્માણ પામનારા સાંઢિયા પુલની કામગીરી આગળ વધશે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરના જણાવ્યા મુજબ રાજકોટ મહાપાલિકા દ્વારા જામનગર રોડ પર ભોમેશ્વર પાસે આવેલા ચાર દાયકાથી જુના સાંઢિયા પુલને સ્થાને ફોર લેન ઓવરબ્રિજ બનાવવામાં આવનાર છે. આ માટે જુના પુલમાં ટ્રેન ટ્રેક પરનો ગાળો તોડવાની મંજૂરી મળી ચૂકી છે. જેને પગલે કોઇપણ કાટમાળ નીચે ન પડે તે માટે ડાયમંડ કટિંગ ટેકનોલોજી દ્વારા આ ભાગ તોડવાની કામગીરી કરવામાં આવશે.