રાજકોટમાં છેલ્લા કેટલાક સપ્તાહથી રોગચાળો વકરી રહ્યો છે. જેમાં ચાલુ સપ્તાહે પણ વિવિધ રોગના મળી 1798 કેસ નોંધાયા છે. તેમાં પણ ડેન્ગ્યુના સપ્તાહમાં સૌથી વધુ 19 કેસ નોંધાયા છે. એટલું જ નહીં મેલેરિયા 1 અને ટાઇફોઇડ તાવના 5 કેસ નોંધાયા છે. તો શરદી-ઉધરસના સૌથી વધુ 940 દર્દીઓ નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. જોકે, આંકડાઓ માત્ર મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોનાં છે. ત્યારે નાના મોટા ખાનગી ક્લિનિકો ધ્યાનમાં રાખીએ તો આંકડો 5 ગણો એટલે કે, 10,000થી વધુ હોવાની શક્યતા છે.
આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓની લાંબી કતારો
પ્રાપ્ત વિગત મુજબ છેલ્લા એકાદ સપ્તાહથી શહેરની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ તેમજ મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી. અને મનપાના ચોપડે વિવિધ રોગોનાં 1798 કેસ નોંધાયા હતા. જેમાં શરદી- ઉધરસનાં ગત સપ્તાહનાં 1140 કેસ સામે આ સપ્તાહે 940 કેસ, ઝાડા-ઉલટીનાં 340 સામે 245 કેસ અને સામાન્ય તાવનાં પણ 678 સામે 588 કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળામાં ડેન્ગ્યુનાં 19 કેસ નોંધાયા હતા. એટલું જ નહીં ટાઈફોડ તાવના 5 દર્દીઓ તેમજ 1 કેસ મેલેરિયાનો સામે આવતા ફોગિંગ સહિતની કામગીરી ઝડપી કરવામાં આવી છે.