સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના ધરોહર લોકમેળાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. જો કે, આ મેળાની જાહેરાત બાદ હરાજી સમયથી જ ચાલી આવતા વિવાદ વચ્ચે સોઈલ ટેસ્ટનો રિપોર્ટ આવે તે પહેલાં જ રાઈડો ઉભી કરી દેવામાં આવી છે. આ વખતે રાઇડ્સના પ્લોટ ધારકોએ રાજ્ય સરકારની SOPનું ખુલ્લેઆમ ઉલાળીયો કર્યો છે. RCC ફાઉન્ડેશન સાથે રાઇડ્સ ઉભી કરવા સૂચના આપવામાં આવી હતી. જો કે, હવે તેના વગર જ યાંત્રિક રાઈડ્સ ઉભી કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, હવે આ જમીન પથરાળ હોવાથી ફાઉન્ડેશનની જરૂર નથી, તેવું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ સવાલ એ છે કે, રાજકોટની જમીન પથરાળ છે. આ વાત સૌકોઈ જાણે છે. આમ છતાં જયારે હરાજી કરવામાં આવતી હતી, ત્યારે તંત્ર ફાઉન્ડેશનની હઠ પકડીને શા માટે બેસતું હતું? હવે જયારે ખાનગી મેળાના સંચાલકોએ યાંત્રિક રાઇડ્સના પ્લોટ ખરીદ કર્યા છે, ત્યારે નિયમોમાં બાંધછોડ માટે કોના દબાણથી કરાયું તે સૌથી મોટો સવાલ છે.
રાજકોટમાં નાના મવા રોડ પર આવેલ TRP ગેમઝોન થયેલ અગ્નિકાંડ બાદ પ્રથમ આવતા સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટ લોકમેળામાં યાંત્રિક રાઇડ્સની હરાજી સમયથી વિવાદ ચાલી રહ્યો છે. સૌથી મોટો વિવાદ ફાઉન્ડેશન સાથે યાંત્રિક રાઇડ્સ ઉભી કરવાનો જ હતો. જેના કારણે ખાનગી મેળાના સંચાલકોએ યાંત્રિક રાઇડ્સ માટેના પ્લોટ માટે 1.27 કરોડની બોલી લગાવી હતી. જો કે, હવે આ સંચાલકો દ્વારા 31 પ્લોટ ઉપર 35 જેટલી રાઇડ્સ ફાઉન્ડેશન વગર ઉભી કરવા માટે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.