રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી તારીખ 24થી 28 ઓગસ્ટ દરમિયાન જન્માષ્ટમીનો લોકમેળો યોજાવાનો છે. જેને લઈને સ્ટોલ અને પ્લોટ મેળવવા માટે ફોર્મ ભરવાનો આજે છેલ્લા દિવસ હતો. અત્યાર સુધીમાં 215 સ્ટોલ અને પ્લોટ સામે 522 ફોર્મ ભરાયાં છે. જોકે, તેમાં ટી કોર્નર સ્ટોલ રાખવા માટે એકપણ વેપારીએ રસ દાખવ્યો નથી. જ્યારે આઈસક્રીમ પાર્લર રાખવામાં પણ નિરસતા દાખવતા 16 સામે 10 જ વેપારીઓએ ફોર્મ ભરાતા આઈસક્રીમનાં 6 ચોકઠાં ખાલી રહ્યા છે. હવે આગામી 3 ઓગસ્ટના સ્ટોલ અને રાઇડસ માટેની હરાજી કરવામાં આવશે.
ગુરુવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી અત્યાર સુધી ટી કોર્નર માટે એકપણ વેપારીએ ફોર્મ ભર્યું નથી. જ્યારે આઈસક્રીમના 16 સ્ટોલ સામે 10 જ ફોર્મ ભરાયાં છે. ઉપરાંત ખાણીપીણીના મોટા 2 સ્ટોલ સામે 4 જ ફોર્મ ભરાતા વહીવટી તંત્ર ચિંતામાં મુકાઇ ગયું છે. જોકે, ત્રીજી વખત તારીખ વધાર્યાની મુદત પૂર્ણ થઈ ગઈ છે. સુરક્ષાને ધ્યાને લઇ આ વખતે લોકમેળાનો વીમો 5 કરોડથી વધારી 7.50 કરોડ એટલે કે અઢી કરોડનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે 340 જેટલા લોકોએ લોકમેળાનું નામ આપવા માટે એન્ટ્રી મોકલાવી છે.