મણિપુર હિંસાઃ 300 સશસ્ત્ર ઉગ્રવાદી મ્યાનમારથી ઘૂસ્યા!

મણિપુરમાં ગુરુવારે પણ હિંસાનો દોર જારી રહ્યો હતો. હિંસાગ્રસ્ત ખેમેન્લોકમાં મૃતકોની સંખ્યા 11થી વધીને 15 થઇ ગઇ છે. અપહરણ કરવામાં આવેલા ચાર લોકો પણ માર્યા ગયા હોવાના અહેવાલો મળ્યા છે. બીજી બાજુ મ્યાનમારથી રાજ્યના બિષ્ણુપુર જિલ્લામાં 300 સશસ્ત્ર ઉગ્રવાદીઓ ઘૂસી ગયા છે. સૂત્રો મુજબ તોરબુંગના જંગલ વિસ્તારોમાં અડ્ડાઓ બનાવી લીધા બાદ ઉગ્રવાદીઓની ટોળકી ચુરાચાંદપુરની તરફ આગળ વધી ગઇ છે. આ ટોળકીમાં ચીન અને કુકી પણ સામેલ છે.

સુરક્ષા સંસ્થાઓ આની માહિતી મેળવવા માટે ડ્રોનનો ઉપયોગ કરી રહી છે. દરમિયાન બપોરે બિષ્ણુપુર જિલ્લાના ત્રોંગ્લાઓબીમાં કુકી હુમલાખોરોએ પોલીસ વાહન પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં એક પોલીસ કમાન્ડો શહીદ થતા તંત્રની ચિંતા વધી છે. આ હુમલામાં બે અન્ય પોલીસ કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. દરમિયાન રાજ્યમાં મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધને 20મી જૂન સુધી વધારી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

મેઇતેઇ સમુદાયના લોકો આરામ કરવા ચર્ચમાં રોકાયા હતા, હરીફ જૂથને ઘેરીને હુમલો
મેઇતેઇ સંગઠનના લોકો પેટ્રોલિંગ પર હતા. તેમની પાસે મોર્ટાર અને અન્ય આધુનિક હથિયારો હતાં. કેટલાક લોકો લાકડીઓ લઇને પણ પહોંચ્યા હતા. જેવા આ લોકો ખેમેન્લોક ગામમાં એક ચર્ચમાં આરામ કરવા માટે રોકાયા, કુકી લોકોએ તેમને ઘેરીને હુમલો કર્યો હતો. ત્રણ તરફ કરાયેલા હુમલાના કારણે મેઇતેઇ લોકો ઘેરાઇ ગયા હતા. કુલ 15 લોકો માર્યા ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *