ખેલાડીઓ અને કોચ દ્રવિડને પાંચ-પાંચ કરોડ મળશે!

ભારતીય ટીમે 17 વર્ષ બાદ ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ BCCI તરફથી સેક્રેટરી જય શાહે ટીમ માટે 125 કરોડનાં ઈનામની જાહેરાત કરી હતી. જોકે હવે, ભારતીય ક્રિકેટ બોર્ડે આ 125 કરોડ રૂપિયા ટીમમાં કેવી રીતે વહેંચાશે તેની માહિતી સામે આવી છે. જે અનુસાર ટીમના દરેક 15 ખેલાડીઓ તથા ટીમને ચેમ્પિયન બનાવનાર હેડ કોચને 5-5 કરોડ રૂપિયા મળશે. આખા વર્લ્ડ કપમાં એકેય મેચ ના રમી શકનાર ત્રણેય ખેલાડી સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ અને યુઝવેન્દ્ર ચહલને પણ 5-5 કરોડ રૂપિયા મળશે. જ્યારે ટીમ સાથે જોડવામાં આવેલ રિઝર્વ પ્લેયર્સ- રિન્કુ સિંહ, શુભમન ગિલ, આવેશ ખાન અને ખલીલ અહમદને પણ 1-1 કરોડ રૂપિયા મળશે. રસપ્રદ વાત એ છે કે ગિલ અને આવેશ ખાન અમેરિકામાં યોજાયેલ લીગ રાઉન્ડ (જેમાં ભારતે 3 મેચ રમી હતી) બાદ જ ભારત પરત ફર્યા હતા.

જ્યારે કોચ દ્રવિડ સાથે સપોર્ટિંગ સ્ટાફમાં રહેલ બેટિંગ કોચ વિક્રમ રાઠોડ, ફિલ્ડિંગ કોચ ટી. દિલીપ અને બોલિંગ કોચ પારસ મહામ્બ્રેને 2.5-2.5 કરોડ મળશે. સિનિયર સિલેક્શન કમિટીના ચેરમેન અજિત અગરકર સહિત તમામ 5 સભ્યોને 1-1 કરોડ રૂપિયા મળશે. જ્યારે ટીમ સ્ટાફના અન્ય સભ્યોને પણ મોટી રકમ મળશે, જેમ કે- ટીમના 3 ફિઝિયોથેરાપિસ્ટ (કમલેશ જૈન, યોગેશ પરમાર, તુલસી રામ યુવરાજ), 3 થ્રૉ ડાઉન સ્પેશિયાલિસ્ટ (રાઘવિન્દ્ર દ્વગી, નુવાન ઉડનેકે, દયાનંદ ગરાની), 2 માલિશ કરનાર (રાજીવકુમાર અને અરુન કાનાડે) તથા સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ કોચ(સોહમ દેસાઈ)ને પણ 2-2 કરોડ રૂપિયા મળશે. વર્લ્ડ કપમાં જનાર ખેલાડીઓ સહિતના ભારતીય દળમાં કુલ 42 લોકો હતા. રિપોર્ટ્સ અનુસાર, ટીમ સાથે પ્રવાસ કરનાર BCCIના સ્ટાફ મેમ્બર જેમ કે- મીડિયા ઓફિસર અને લોજિસ્ટિક મેનેજર, વીડિયો એનાલિસ્ટ, સ્ટાફ મેમ્બર જેવા સભ્યોને પણ ઈનામ અપાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *