પરપ્રાંતીય પરિવારના દોઢ વર્ષના બાળકને સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ કોલેજના વિદ્યાર્થીએ આપેલા ઇન્જેક્શનથી બાળકનું મૃત્યુ થયું હતું. આ મામલે પોલીસે મૃતદેહનું ફોરેન્સિક નિષ્ણાત પાસે પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ જવાબદાર સામે ગુનો નોંધવાનો અધિકારીએ નિર્દેશ આપ્યો હતો.
રાજકોટ સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફની લાપરવાહીથી બાળકના મૃત્યુ અંગે કુશવાહ પરિવારે આક્ષેપ કરતાં પોલીસે ફોરેન્સિક નિષ્ણાત પાસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પોલીસે આ મામલે તપાસ કરતાં બાળકને સિવિલ હોસ્પિટલના નિયમિત નર્સિંગ સ્ટાફને બદલે આનંદ નર્સિંગ કોલેજના બીજા વર્ષના વિદ્યાર્થીએ ઇન્જેક્શન આપ્યાનું ખુલ્યું હતું. એ ડિવિઝનના પીઆઇ બારોટે જણાવ્યું હતું કે, હાલમાં આકસ્મિક મૃત્યુ (એડી)ની નોંધ કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જરૂર પડ્યે જવાબદાર સામે ગુનો નોંધવામાં આવશે.