રાજકોટ મનપાનાં ચોપડે વિવિધ રોગના 1298 કેસ

રાજકોટમાં ચોમાસાની શરૂઆત થતા શરદી-ઉધરસ અને તાવ સહિત વાયરલ ઈન્ફેક્શનનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જોકે, મનપાના ચોપડે વિવિધ રોગોનાં મળીને ગત સપ્તાહના 1399 કેસ સામે આ સપ્તાહે 1298 જેટલા કેસ નોંધાયા છે. જેમાં સતત ત્રીજા સપ્તાહે ડેન્ગ્યુનો પણ એક કેસ સામે આવ્યો છે. તો મેલેરિયા અને ટાઈફોડ તાવનો પણ 1-1 કેસ નોંધાયો છે. શરદી-ઉધરસનાં સૌથી વધુ 720 દર્દીઓ નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. જોકે, આંકડાઓ માત્ર મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોનાં છે ત્યારે નાના-મોટા ખાનગી ક્લિનિકો ધ્યાનમાં રાખીએ તો આંકડો 5 ગણો એટલે કે, 6,500 કરતા વધુ હોવાની શક્યતા છે.

પ્રાપ્ત વિગત મુજબ છેલ્લા એકાદ સપ્તાહથી શહેરની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ તેમજ મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી અને મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં 1298 કેસ નોંધાયા હતા. જેમાં શરદી- ઉધરસનાં ગત સપ્તાહનાં 661 કેસ સામે આ સપ્તાહે 720 કેસ, ઝાડા-ઉલટીનાં 288 સામે 217 અને સામાન્ય તાવનાં 449 સામે 358 કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળામાં ડેન્ગ્યુ-મેલેરિયાનો પણ 1-1 કેસ નોંધાયો છે. ફક્ત એટલું જ નહીં ટાઈફોડ તાવનો પણ 1 દર્દી સામે આવતા ફોગીંગ સહિતની કામગીરી ઝડપી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *