ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડમાં બાળકો સહિત 27 લોકોના કરૂણ મોત નિપજ્યાની દુર્ઘટના બાદ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. જેમાં ચૂંટાયેલા નેતાઓની ભૂમિકા હોવાની ચર્ચાઓ વચ્ચે દુર્ઘટના બાદ ભવિષ્યમાં આવું ન બને તે માટે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ રાજકોટ મહાપાલિકાના ભાજપના તમામ 68 કોર્પોરેટરને પત્ર પાઠવી હવેથી અધિકારીઓ અને ઇજનેરોને કરાતી કોઈપણ રજુઆત કે ભલામણ લેખિતમાં જ કરવા અને તેની એક નકલ પોતાની પાસે પણ રાખવા આદેશ કરવામાં આવ્યો છે.
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ ગઈકાલે તેમના લેટરપેડ ઉપર રાજકોટ મહાપાલિકાના ભારતીય જનતા પાર્ટીના તમામ 68 કોર્પોરેટરને પત્ર પાઠવ્યો છે. જેમાં લખાયું છે કે, વંદે માતરમ સાથ જણાવવાનું કે, આપ રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા જનપ્રતિનિધિ છો. પ્રજાના કામો માટે દરેક કોર્પોરેટરોને મારૂ નમ્ર સૂચન છે કે, પ્રજાના કામો માટે તમારા લગતા ઝોનમાં આવતા સિટી એન્જિનિયર અથવા લગતા નાયબ મ્યુનિ. કમિશનરને પત્ર લખીને કામ કરાવવાનો આગ્રહ રાખવો, જેથી કરીને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવેલ પત્રવ્યવહારની નોંધ રાજકોટ મહાનગરપાલિકામાં રહેશે અને તેની એક નકલ આપણી પાસે પણ રાખવી જેથી કરીને ભવિષ્યમાં રેકર્ડ ડેટાબેઝ તરીકે ઉપલબ્ધ રહેશે.