રાજકોટની સિટીબસ સેવાનો લાભ લેતા મુસાફરો માટે રાહતનાં સમાચાર સામે આવ્યા છે. જેમાં હાલમાં દોડતી ડિઝલની ખખડધજ સિટી બસોના સ્થાને નવી આધુનિક ઈલેટ્રીક અને CNG બસ દોડાવવામાં આવશે. મનપાને 25 ઇલેક્ટ્રિક તેમજ 10 CNG બસ મળી ચૂકી છે. પાસિંગ સહિતની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જૂની ખખડધજ બસોના સ્થાને હવે નવી વાતાનુકુલિત બસો દોડશે. હાલમાં મનપાની રાજપથ કંપની પાસે 35 બસો આવી ગઈ છે. જેના પાસિંગ અને ચાર્જિંગ માટે સુવિધા ઉભી કરવા કવાયતો ચાલી રહી છે.
મનપાના સિટી ઈજનેર અલ્પનાબેન મિત્રાએ જણાવ્યું હતું કે, અમારી પાસે 25 ઈલેટ્રીક અને 10 CNG બસ આવી છે. તેના પાસિંગ અને રજીસ્ટ્રેશનની વિધી ચાલી રહી છે. ટૂંક સમયમાં અમે આ બધી બસો સિટીબસ સેવામાં કાર્યરત કરી દેવાના છીએ. આ બસો જેમ-જેમ સેવામાં આવતી જશે તેમ જૂની બસો સેવામાંથી દૂર કરતા જઈશું. સિટી બસ સેવામાં અમે 40થી વધુ રૂટ પર બસ દોડાવી રહ્યા છીએ. દરરોજ 20 હજારથી વધુ લોકો સિટીબસ સેવાનો લાભ લઈ રહ્યા છે. નેટવર્ક અને વાહનો સુધરતા થયા બાદ આ સંખ્યામાં વધારો થશે. આગામી દિવસોમાં હજુપણ 10 જેટલી નવી બસો આવવાની છે ત્યારે આચારસંહિતા પૂર્ણ થયા બાદ આગામી માસથી નવી બસો દોડતી થાય તેવી શકયતા છે