અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટની નવી પહેલ

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટએ અંબાજીને પ્લાસ્ટિક મુક્ત બનાવવા બે નવી પહેલ શરૂ કરી છે. યાત્રિકો મંદિરમાં કપડાંની થેલીનો ઉપયોગ કરે માટે વેન્ડિંગ મશીન મુકાયા છે. જેમાં 5 રૂપિયાનો સિક્કો મશીનમાં નાખવાથી ઓટોમેટિક કપડાની થેલી બહાર આવશે. આ સાથે જ ખાલી પ્લાસ્ટિક બોટલો માટે ક્રસર મશીન પણ મુકવામાં આવ્યા છે.

પ્લાસ્ટિકથી ફેલાતા પ્રદુષણથી વન પર્યાવરણને ભારે નુકશાની થતી હોય છે. જેથી અનેકો મૂંગા પશુઓ પણ પ્લાસ્ટિક ખાઈને મોતને ભેટ ચઢતા હોય છે. તેવી બાબતોને ધ્યાને લઇ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર પૂરજોશથી પ્લાસ્ટિક મુક્ત અભિયાન ચલાવી રહી છે. તેને લઈને અનેકો કાર્યક્રમો અને યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. ત્યારે શક્તિપીઠ અંબાજી ધામ પણ પ્લાસ્ટિક મુક્ત બને તે માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ અભિયાન હાથ ધરાયું છે. જેમાં અંબાજી મંદિરમાં પ્રસાદ માટે અપાતી પ્લાસ્ટિકની થેલીઓ સામે હવે કપડાંની થેલીઓનું વિતરણ કરવામાં આવશે. જેના માટે ખાસ ઓટોમેટિક વેન્ડિંગ મશીન મુકવામાં આવ્યા છે. અંબાજી મંદિર વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીએ આ વેન્ડિંગ મશીનને પૂજાવિધિ કરી ખુલ્લું મુક્યું હતું.

આ મશીનથી યાત્રિકે માત્ર 5 રૂપિયાનો એક સિક્કો વેન્ડિંગ મશીનમાં નાખવાથી ઓટોમેટિક કપડાંની થેલી બહાર આવે છે. જેનો ઉપયોગ શ્રદ્ધાળુઓ પ્રસાદ રાખવા માટે કરી શકે છે. જો મોટી થેલી જોઈતી હોય તો રૂપિયા 10નો સિક્કો નાખવાથી મોટી થેલી પણ મેળવી શકે છે. આમ હાલ ટ્રાયલ બેઝ ઉપર બે મશીન મુકવામાં આવ્યા છે. આગામી સમયમાં વધુ મશીનો પણ મુકવાની વ્યવસ્થા કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *