ગોંડલ તાલુકાના સુલતાનપુર પંથકમાં 45 દિવસથી પૂરતો વરસાદ નહીં પડતાં દુષ્કાળના એંધાણ વર્તાઈ રહ્યા છે. વરસાદની લાંબી ખેંચથી ખેતરોમાં ઉભેલા મગફળી, કપાસ, એરંડા અને સોયાબીનના પાક મુરઝાઈ રહ્યા છે. અનેક ખેતરોમાં પાક સુકાઈ જતાં ખેડૂતોની વર્ષભરની મહેનત અને ખેતી પાછળ કરેલો ખર્ચ પાણીમાં ગયો છે.
સુલતાનપુર પંથકના ખેડૂતોએ મોંઘા બિયારણ, ખાતર અને દવાનો ખર્ચ કરી ખરીફ પાકનું વાવેતર કર્યું હતું. શરૂઆતમાં સારા વરસાદની આશા હતી, પરંતુ ત્યારબાદ મેઘરાજાએ લાંબો વિરામ લેતાં ઉભા પાકને પૂરતું પાણી મળ્યું નથી. પાકમાંથી આવક મેળવવાનો સમય નજીક આવ્યો ત્યારે વરસાદે દગો દેતાં ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે.
પાક નુકસાનનો સરવે કરી રાહત આપવાની માંગ સુલતાનપુર પંથકના ખેડૂતોની માગ છે કે સરકાર તાત્કાલિક પાક નુકસાનનો સર્વે કરાવે અને અસરગ્રસ્ત વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે અથવા ખેડૂતોને યોગ્ય વળતર આપે. મોંઘા બિયારણ, ખાતર અને ખેતી ખર્ચ બાદ પાક નિષ્ફળ જતાં સરકાર તાત્કાલિક આર્થિક રાહત આપે તેવી ખેડૂતોની માગ છે.
ભૂગર્ભ જળસ્તર નીચે જતા ચિંતા વધી વરસાદની ખેંચને કારણે ભૂગર્ભ જળસ્તર પણ નીચે જઈ રહ્યું છે. સ્થાનિક તળાવો, જળાશયો તથા નદી-નાળા પણ સુકાવા લાગ્યા હોવાથી આગામી દિવસોમાં પાણીની સમસ્યા વધુ ગંભીર બનવાની ભીતિ છે. કૃષિ અને પશુપાલન પર નિર્ભર ગ્રામ્ય પરિવારોની રોજગારી પર પણ તેની અસર પડી રહી છે.