શ્રાવણના પ્રારંભે બીલીપત્રના ઝાડ પર પ્રેમીયુગલે દુપટ્ટા વડે ફાંસો ખાધો

સુરતના સંજયનગર ઝૂંપડપટ્ટી વિસ્તાર નજીક રહેતા અને મજૂરીકામ કરતા એક યુવક અને 16 વર્ષીય સગીરાએ પ્રેમપ્રકરણમાં ખાડી કિનારે આવેલા બીલીપત્રના ઝાડ સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. બંને મૃતકો છેલ્લા બે દિવસથી પોતાના ઘરેથી ગુમ હતા અને પરિવારજનો તેમની શોધખોળ કરી રહ્યા હતા. આજે(13 ઓગસ્ટ) સવારે શ્રાવણ મહિનાના પ્રારંભે જ રામજીનગર સોસાયટી નજીક બંનેના મૃતદેહ બીલીપત્રના ઝાડ પર લટકતી હાલતમાં મળી આવતા લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. આ બનાવ બંનેના ઘરથી 500 મીટર દૂર જ બન્યો હતો.

મૃતક યુવક 24 વર્ષનો હતો અને તે મૂળ દાહોદનો વતની હતો. દોઢ મહિના પહેલા જ રોજીરોટી અર્થે સુરત આવ્યો હતો. યુવકના અગાઉ બે લગ્ન થઈ ચૂક્યા હતા. બીજી તરફ મૃતક સગીરા 16 વર્ષની હોવાનું સામે આવ્યું છે. છેલ્લા એક મહિનાથી બંને સાથે મજૂરીકામ માટે જતા હતા, જે દરમિયાન તેમની વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. બંને પરિવારોને તેમના આ પ્રેમસંબંધ અંગે કોઈ જ કલ્પના નહોતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *