શુદ્ધ પાણી વિતરણનાં દાવાઓ પોકળ!

રાજકોટ મનપા દ્વારા શહેરમાં શુદ્ધ અને પૂરતું પીવાનું પાણી પહોંચાડવાના મોટા મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા તદ્દન અલગ જ ચિત્ર રજૂ કરે છે. હાલમાં 18 વોર્ડના નાના-મોટા 94 વિસ્તારો એવા છે, જ્યાં રહેવાસીઓને અવારનવાર ગંદુ અને દૂષિત પાણી મળી રહ્યું છે.

મનપાના આંકડા મુજબ છેલ્લા 6 માસમાં બેક્ટેરિયોલોજીકલના 1483, રેસિડ્યુઅલ ક્લોરિનના 44752 અને કેમિકલ સેમ્પલ 187 મળીને કુલ 46413 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 37 સેમ્પલ ફેઈલ સાબિત થયા છે. શહેરમાં છેલ્લા 6 મહિના દરમિયાન દૂષિત પાણી, દુર્ગંધ અને ગટર મિશ્રિત પાણી આવવાની તીવ્ર સમસ્યાઓને લઈને કુલ 5326 ફરિયાદો નોંધાઈ છે. સરેરાશ ગણતરી કરીએ તો દર મહિને આશરે 880 કરતા વધુ અને રોજ 29 જેટલી ફરિયાદો મળી રહી છે.

તાજેતરમાં મળેલા જનરલ બોર્ડમાં આ મુદ્દે પ્રશ્ન પૂછાયો હતો. જેનો જવાબ જાહેર થયો છે. જેમાં અધિકારીએ જણાવ્યું હતું કે, 6 મહિનામાં 5293 ફરિયાદોનો નિકાલ કરાયો છે, જ્યારે 33 ફરિયાદો હજુ પણ પેન્ડિંગ છે. પાઈપલાઈનમાં લીકેજ, જૂની કે ક્ષતિગ્રસ્ત લાઈનો અને ડ્રેનેજ લાઈન નજીક હોવાના ટેકનિકલ કારણોસર આ પરિસ્થિતિ સર્જાય છે. જેના નિવારણ માટે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર નિયમિત ધોરણે ફિલ્ટરેશન અને ક્લોરીનેશન કરવામાં આવે છે. ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને 3 નવી જગ્યાઓએ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની કામગીરી ચાલુ છે. ઉપરાંત જે વોર્ડમાં જૂનું એસી પ્રેશર પાઈપ લાઈન નેટવર્ક છે, તેને તબક્કાવાર નવી ડીઆઈ પાઈપલાઈન નેટવર્કમાં અપગ્રેડ કરવાની કામગીરી ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *