રાજકોટમાં એક યુવતીએ તેણીના લગ્નના 20 દિવસ પહેલા જ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. દીકરીના લગ્નની કંકોત્રી આપવા માટે માતા સંબંધીના ઘરે ગયા હતા ત્યારે જ ઘરે એકલી રહેલી દીકરીએ ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી. એક તરફ પરિવારજનો દીકરીના લગ્નના લઈ તૈયારીઓ કરી રહ્યા હતા અને ખુશીનો માહોલ હતો ત્યારે જ દીકરીએ ભરેલા આ પગલાંના કારણે પરિવારમાં માતમ છવાયો છે. આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજી સુધી બહાર આવ્યું નથી.
મૃતક આરતી પરમારના 21 જૂને લગ્ન હતા રાજકોટન મવડી વિસ્તારમાં આવેલ જલારામ સોસાયટીમાં રહેતી આરતી રમણીકભાઇ પરમાર (ઉ.વ.27) ગઈકાલે સાંજે 7.30 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતી ત્યારે ઘઉંમાં નાખવાના ટીકડા ખાઈ લીધા હતા જે બનાવ અંગે પરિવારને જાણ થતા તેને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જેને તપાસી ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. બનાવા અંગે માલવીયાનગર પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક પુછપરછમાં મૃતક આરતી બે બહેન અને એક ભાઇમાં મોટી હતી. તેની સગાઇ બીલખા ગામે રહેતા યુવાન સાથે થઇ હતી. આગામી તા.21ના રોજ લગ્ન નિર્ધારિત કરવામાં આવ્યા હતા અને કંકોત્રી પણ છપાઈ ગઈ હતી. ગઈકાલે આરતીના માતા સહિતના સગા સંબંધી કંકોત્રી વિતરણ કરવા ગયા હતા અને આરતીનો ભાઈ અભિ પોતાની પંચર સાંધવાની દુકાને ગયો હતો ત્યારે સાંજના સમયે આરતી ઘરે એકલી હતી દરમિયાન તેણે ઝેરી ટીકળા ખાઈ ભાઈને ફોન કર્યો હતો કે, મને મજા નથી જલ્દી ઘરે આવ. જેથી ભાઈ તત્કાલ ઘરે ગયો હતો અને જોયું તો બહેન ઉલ્ટી કરતી હતી જેથી તત્કાલ તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે બનાવ અંગે જાણ કરવામાં આવતા કંકોત્રી વિતરણ કરવા ગયેલા માતા સહિતના સંબંધી હોસ્પિટલ દોડી આવ્યા હતા. દીકરીને સાસરે વળવાના કોડ જોયા હતા તેણે જિંદગીનો અંત આણી લેતા પરિવારમાં ભારે કલ્પાંત છવાયો હતો. જો કે આપઘાતના કારણ અંગે પરિવારજનો પણ અજાણ હોવાથી પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.