રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા જાળવવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ માટે સફાઈ કામગીરી વધુ સઘન કરવાની સાથે જ જાહેરમાં સ્વચ્છતા નહીં જાળવનારા વેપારીઓની દુકાનોને સીલ કરવામાં આવી રહી છે ત્યારે આજે રાજકોટ નાનામૌવા ચોક નજીક જાહેરમાં ગંદકી કરવા બદલ એકસાથે 5 ચા-પાનની દુકાનોને સીલ કરવામાં આવી છે. આ તમામ દુકાનનાં માલિકોને અગાઉ નોટિસ આપી દંડ વસૂલવામાં આવ્યો હતો. જોકે, આમ છતાં જાહેરમાં ગંદકી કરવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવતા કડક પગલાં લેવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગત મુજબ શહેરનાં નાનામૌવા ચોકની નજીક જાહેરમાં ગંદકી કરવા બદલ 5 શોપ સીલ કરવામાં આવી છે. જેમાં (1) ક્રિષ્ના ટી એન્ડ રેસ્ટોરન્ટ, (2) કનૈયા ટી, (3) ક્રિષ્ના પાન, (4) આશાપુરા પાન એન્ડ કોલ્ડ્રીંકસ અને (5) જય દ્વારકાધીશ પાન શોપને અચોક્કસ મુદ્દત માટે સીલ કરવામાં આવી છે. તમામ દુકાનનાં સંચાલકો દ્વારા જાહેરમાં સ્વચ્છતા જાળવતા ન હોય અને ગંદકી ફેલાવતા હોવાથી જાહેર આરોગ્યને નુકસાન કરે તે રીતે કચરો ફેંકાતો હોય નોટીસ આપી દંડ વસૂલાયો હતો.