રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાનારા જન્માષ્ટમીના લોકમેળાને વિરાસતથી વિકાસ નામ આપવામાં આવ્યું છે. આગામી તા.2 થી 6 સપ્ટેમ્બર દરમિયાન આ મેળો યોજાવાનો છે ત્યારે તેમાં 228 જેટલા સ્ટોલ અને પ્લોટ હશે તો 34 જેટલી મોટી યાંત્રિક રાઈડનો આનંદ લોકો માણી શકશે. તા.2 ના નેવી બેન્ડ સાથે મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને મુખ્ય અતિથિ તરીકે મુખ્યમંત્રીને આમંત્રણ અપાયું છે. મેળાના 5 દિવસ દરમિયાન નામી 6 કલાકારોની સાથે 40 જેટલા લોકલ કલાકારોના પરર્ફોર્મન્સ પણ લોકો નિહાળી શકશે.
15 લાખ મુલાકાતીઓની સુરક્ષા માટે ખાસ ડિઝાસ્ટર કોરિડોર બનાવવામાં આવ્યો છે આ સાથે જ મેળાનો રૂ.10 કરોડનો વિમો પણ લેવામાં આવ્યો છે. દરરોજ રાત્રે 11.30 વાગ્યા સુધી લોકમેળાનો આનંદ લોકો માણી શકશે. જોકે AI અને ડ્રોનની મદદથી થતા સર્વેલન્સમાં ક્રાઉડ વધી જશે તો પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવા છે.
રાજકોટ જિલ્લા કલેકર ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, શહેરના રેસકોર્સ મેદાનમાં આગામી તા.2 થી 6 સપ્ટેમ્બર એટલે કે રાંધણ છઠ્ઠથી દશમ સુધી સૌરાષ્ટ્રનું સૌથી મોટું જન્માષ્ટમીનો લોકમેળો યોજાવાનો છે. જેનું નામ વિરાસતથી વિકાસ સુધી આપવામાં આવ્યું છે. લોકમેળાને નામ આપનાર અજય રતિલાલ કુકડિયાને અભિનંદન આપું છું. 228 સ્ટોલ અને પ્લોટ થકી લોકમેળા સમિતિને રૂ.364 લાખની કમાણી થઈ છે. હાલ અહીં રાઈડસ બાંધવાનું શરૂ થઈ ગયું છે યાંત્રિક રોડની કમિટી દ્વારા તેની ચકાસણી કરીને મંજૂરીની પ્રક્રિયા કરવામાં આવી રહી છે.
ડિઝાસ્ટરને ધ્યાનમાં રાખી રૂ.10 કરોડનો વીમો લેવવાયો તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ડિઝાસ્ટરને ધ્યાનમાં રાખી રૂ.10 કરોડનો વીમો લેવામાં આવ્યો છે. આ ઉપરાંત રૂ.2 કરોડનો ઇવેન્ટ કેન્સલેશનનો વીમો પણ લેવામાં આવ્યો છે. આકસ્મિક ઘટનાઓને પહોંચી વળવા માટે સેન્ટ્રલ કંટ્રોલરૂમ બનાવવામાં આવ્યો છે. આ વખતે સ્પેશિયલ ડિઝાસ્ટર કોરિડોર બનાવવામાં આવ્યો છે. મેળામાં ડ્રોન અને AI આધારિત સર્વેલન્સથી ક્રાઉડ મેનેજમેન્ટ કરવામાં આવશે. ડિઝાસ્ટર અને ક્વીક રિસ્પોન્સ ટીમ દ્વારા લોકમેળા સ્થળે એક પણ રાખવામાં આવી છે.