રાજકોટના જામનગર રોડ પર સાંઢિયા પુલની ધીમી કામગીરીના કચવાટ વચ્ચે ટ્રાફિકના પારાવાર પ્રશ્નો સર્જાયા છે. જામનગર રોડ પાર કરવા માટે ભોમેશ્વર ફાટકથી પસાર થવું પડતું હોય છે અને ટ્રેન પસાર થતી વેળાએ ફાટક બંધ હોય.જ્યારે બન્ને બાજુ વાહનોના થપ્પા લાગી જાય છે. ઇમરજન્સી કામે જનારા પણ ફસાઇ જાય છે. આજે હાર્ટએટેકના પેશન્ટ સાથેની એમ્બ્યુલન્સ પણ અર્ધો કલાક સુધી ફસાઇ ગઇ હતી.ભૂતકાળમાં રૈયા રોડ, એરપોર્ટ જેવા ફાટકોએ સમાન દશા હતી. રૈયા રોડ પર અંડરબ્રીજ બની ગયો, એરપોર્ટ ફાટક પહોળુ કરાયું હતું. ભોમેશ્વર ફાટકે સાંઢિયા પુલને કારણે ટ્રાફિક વધી ગયો છે. લોકોમાં થતી ચર્ચા પ્રમાણે ઘણી વખત લાંબો વખત ફાટક બંધ રહે છે અને પરિણામે બન્ને બાજુ વાહનોની લાંબી કતાર થવા સાથે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઇ છે.જો કે ટ્રાફિક સંચાલન માટે પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા હોવા છતાં અનેક વખત અર્ધી-અર્ધી કલાકે ટ્રાફિક ક્લીયર થાય છે. આજે પણ સમાન સ્થિતિ થઇ હતી તેમાં હૃદયરોગનો હળવો આંચકો આવ્યો હતો તે દર્દીને હોસ્પીટલે લઇ જતી એમ્બ્યુલન્સ ફસાઇ હતી. કોઇ ગંભીર પેશન્ટ હોય અને કોઇ અનિચ્છનીય બને તો શું? એવો સવાલ છે.