રાજકોટમાં વધુ એક ટુર ટ્રાવેલ્સના સંચાલક પતિ પત્નીએ અલગ-અલગ 8 લોકો પાસેથી કુલ 50.07 લાખ પડાવી લઇ પરત ન આપતા ફરિયાદ નોંધાઈ છે. જેમાં રાજકોટની નામાંકિત કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ભરતકુમાર વાઢેરએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પરિવાર સાથે વીયેતનામ ફરવા જવા માટે નાનામૌવા ચોક પાસે આવેલ આર.કે. પ્રાઇમ બિલ્ડીંગમાં ફેસ્ટીવ હોલીડેની ઓફીસ ધરાવતા અભીનવ પટેલ અને ધારા પટેલએ મને આઠ નાઇટ અને નવ દિવસનુ પેકેજ આપ્યું હતુ અને આ માટે તેમને કુલ રૂ.3.70 લાખ આપ્યા હતા પરંતુ આ પછી ફોન બંધ કરી દીધો હતો અને ઓફિસ પણ બંધ કરી દેતા છેતરપિંડી થઇ હોવાનું જાણવા મળતા અન્ય 7 લોકો સાથે મળી સંપર્ક કરતા પતિ પત્નીએ કુલ 8 લોકો સાથે રૂ.50.07 લાખ પડાવી લઇ પરત ન આપ છેતરપિંડી આચરી હોવા અંગે ફરિયાદ માલવિયાનગર પોલીસમાં નોંધાવતા હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બાંધકામ સાઈટ પરથી પટકાતા બે પરપ્રાંતિય શ્રમિકના મોત રાજકોટમાં બાંધકામ સાઈટ પરથી કામ કરતી વખતે પટકાતા બે પરપ્રાંતિય શ્રમિકના મોત નીપજ્યા છે. આદિત્યકુમાર રામનારાયણ કુશ્વાહ (ઉં.વ.21) ગઈકાલે સવારે 10.45 વાગ્યાં આસપાસ મવડી કણકોટ રોડ, પાણીના ટાંકા પાછળ હરિશ્યામ બિલ્ડીંગ સાઇટ ખાતે હતો ત્યારે 10માં માળે સાઇટ ઉપર કામ કરતા હતા ત્યારે નીચે પટકાતા સ્થળ પર જ તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે તાલુકા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. જયારે બીજા બનાવમાં જલંધર ભીકારામ હરપાલ (ઉં.વ.52) આજે સવારે 11 વાગ્યાં આસપાસ અમીન માર્ગ પર એસ્ટ્રોન સોસાયટી શેરી નંબર 5મા દાનજીભાઈની બાંધકામ સાઇટ ઉપર હતા ત્યારે કામ કરતી વખતે એક માળ ઉપરથી પડી જતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં અવત તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે જાણ થતા માલવિયાનગર પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.