પાકિસ્તાનનું એક કાર્ગો વિમાન મંગળવારે રાત્રે કરાચી પહોંચતા પહેલા ગુમ થઈ ગયું હતું. વિમાન શારજાહથી કરાચી આવી રહ્યું હતું અને તેમાં 5 ક્રૂ મેમ્બર સવાર હતા. પાકિસ્તાની શોધખોળ ટીમોએ બલુચિસ્તાનના દરિયાકિનારે અરબી સમુદ્રમાં ઓરમારાથી 53 નોટિકલ માઈલ (લગભગ 98 કિલોમીટર) દૂર વિમાનનો કાટમાળ શોધી કાઢ્યો છે.
પાકિસ્તાન એરપોર્ટ્સ ઓથોરિટી (PAA) અનુસાર, રાત્રે 9:18 વાગ્યે પાયલટે એર ટ્રાફિક કંટ્રોલને નેવિગેશન સિસ્ટમમાં ખામી વિશે જાણ કરી હતી. કંટ્રોલ રૂમે વિમાનને માર્ગદર્શન આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ લગભગ ત્રણ મિનિટ પછી તેનો સંપર્ક તૂટી ગયો. છેલ્લીવાર વિમાનને કરાચીથી 155 નોટિકલ માઈલ (287 કિમી) પશ્ચિમમાં ટ્રેક કરવામાં આવ્યું હતું.
વિમાન ગુમ થયા બાદ અરબી સમુદ્રમાં મોટા પાયે સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન નેવી, એરફોર્સ અને અન્ય એજન્સીઓ શોધ અભિયાનમાં લાગી હતી.