મહાનગરપાલિકા દ્વારા આગામી વસ્તી ગણતરી-2027ની કામગીરી માટે સરકારી ઇજનેરી કોલેજના ક્લાસ-1 અને ક્લાસ-2ના તમામ પ્રોફેસરો અને રિસર્ચર્સને સુપરવાઇઝર તરીકે નિમણૂક આપતા શૈક્ષણિક આલમમાં કચવાટ ફેલાયો છે.
એકતરફ GTUની પરીક્ષાઓ અને પ્રવેશ પ્રક્રિયાનો ધમધમાટ છે, ત્યારે બીજી તરફ પ્રોફેસરોને ફિલ્ડ વર્કમાં ઉતારવામાં આવતા વિદ્યાર્થીઓનું ભાવિ ‘રામ ભરોસે’ મુકાયું હોવાની સ્થિતિ સર્જાઈ છે.
રાજકોટની સરકારી ઇજનેરી કોલેજમાં હાલ BE અને MEના 3000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. હાલમાં જ તમામ પ્રોફેસરો GTUની ઉત્તરવહી મૂલ્યાંકન, પ્રશ્નપત્રો તૈયાર કરવા, વાઇવા-પ્રેક્ટિકલ અને પ્રોજેક્ટ ગાઈડન્સ જેવી અત્યંત મહત્વની જવાબદારીઓ નિભાવી રહ્યા છે.
આ ઉપરાંત, આગામી દિવસોમાં ACPC અને ACPDC પ્રવેશ પ્રક્રિયા, હેલ્પ સેન્ટર અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરીમાં પણ આ જ અધ્યાપકોની મુખ્ય ભૂમિકા હોય છે. આવી સ્થિતિમાં વસ્તી ગણતરી જેવી લાંબી પ્રક્રિયામાં તેમને જોતરવામાં આવે તો શિક્ષણની ગુણવત્તાનું શું? તેવો પ્રશ્ન ઉઠ્યો છે.