પત્નીએ પ્રેમી સાથે આપઘાત કર્યાં બાદ પતિએ ગળેફાંસો ખાધો

સુરતના વરાછામાં હૃદય કંપાવી દેનારી ઘટના સામે આવી છે. ત્રણ દિવસ અગાઉ પત્નીએ પોતાના સાથી કર્મચારી એવા પ્રેમી સાથે તાપી નદીના કિનારે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. પત્નીના મોતના આઘાતમાંથી બહાર ન આવી શકેલા 40 વર્ષીય પતિએ પણ ઘરમાં છતના એંગલ સાથે દોરી બાંધી ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. માતા અને પિતા બંનેના એક પછી એક આપઘાતને પગલે બે સંતાનોએ બંને છત્ર ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાઈ ગયો છે.

પત્ની કામ પરથી ન ફરતાં શોધખોળ શરૂ થઈ હતી
મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ વરાછા લાભેશ્વર ભવન નજીક રહેતા સિદ્ધાર્થ ખેરનાર સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનમાં ફરજ બજાવતા હતા. તેમની 29 વર્ષીય પત્ની મંગળવારે સવારે નિત્યક્રમ મુજબ સફાઈ કામ માટે નીકળી હતી. મોડી સાંજ સુધી તે ઘરે પરત ન ફરતાં ચિંતાતુર બનેલા પતિ સિદ્ધાર્થે તેના મોબાઈલ પર કોલ કર્યો હતો. ફોન કોઈ અજાણ્યા વ્યક્તિએ ઉપાડી જણાવ્યું હતું કે એક મહિલા અને યુવક વરીયાવ બ્રિજ નીચે સિદ્ધનાથ મહાદેવ મંદિર પાસે બેભાન હાલતમાં પડ્યા છે.

પ્રેમીનું સ્મીમેરમાં તો પત્નીનું ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યું
ઘટનાની જાણ થતાં જ પતિ સહિતના પરિવારજનો સ્થળ પર પહોંચ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે બંનેને સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યા હતા. ફરજ પરના તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો, જ્યારે ખુશ્બુની હાલત નાજુક હોવાથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં સારવાર દરમિયાન રાત્રે તેનું પણ મોત નીપજ્યું હતું. મૃતક યુવકની ઓળખ ઉત્રાણ લેક ગાર્ડન પાસે રહેતા 40 વર્ષીય પરેશ નાનજી ચૌહાણ તરીકે થઈ હતી.

એક જ જગ્યાએ કામ કરતા હોવાથી પ્રેમસંબંધ બંધાયો હતો
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે ખુશ્બુ અને પરેશ બંને એક જ સ્થળે સાથે કામ કરતા હતા, જ્યાં બંને વચ્ચે પરિચય થયા બાદ પ્રેમ પાંગર્યો હતો. બંને પરિણીત હતા અને પરેશને ત્રણ સંતાનો જ્યારે ખુશ્બુને 12 વર્ષના લગ્નજીવન દરમિયાન એક પુત્ર અને એક પુત્રી છે. કોઈ અંગત કારણોસર કે મનદુઃખ થતાં બંનેએ તાપી નદીના પાળે જઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી.

પત્નીના અફેરની જાણ થતાં પતિ ડિપ્રેશનમાં સરી પડ્યો હતો
સિદ્ધાર્થ માટે તેની પત્ની જ સર્વસ્વ હતી. પત્નીના સાથી કર્મચારી સાથેના પ્રેમસંબંધથી તે તદ્દન અજાણ હતો. પત્નીના મોતના આઘાત વચ્ચે અફેરની વિગતો સામે આવતાં તે ગંભીર માનસિક તણાવ અને ડિપ્રેશનમાં આવી ગયો હતો. પરિવારજનો તેને સતત સાંત્વના આપી સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ પત્નીના વિયોગ અને વિશ્વાસઘાતના આઘાતને તે સહન કરી શક્યો નહોતો અને આખરે ઘરમાં જ ફાંસો ખાઈ લીધો હતો. માતા-પિતા બંનેની છત્રછાયા ગુમાવતા બંને બાળકો નોધારા થઈ ગયા છે. સમગ્ર મામલે વરાછા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *