2000ના દાયકામાં કેટલાક હિન્દી અખબારો અને મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, મુંબઈમાં આદિત્ય પંચોલીની ‘દાદાગીરી’ એટલા માટે ચાલે છે કારણ કે તેની પત્ની અને એક્ટ્રેસ ઝરીના વહાબ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમને રાખડી બાંધે છે. આ દાવા પર આદિત્ય પંચોલીએ સખત નારાજગી વ્યક્ત કરી હતી.
‘આપ કી અદાલત’માં આપેલા એક જૂના ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું, ‘મારી પત્ની 17 વર્ષની ઉંમરથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે. આજ સુધી તેના પર એક પણ આંગળી ઉઠી નથી. તે એક મુસ્લિમ સ્ત્રી છે. હું કહું છું, તે પવિત્ર છે, દેવી છે.’
તેણે આગળ કહ્યું હતું, ‘તેના વિશે લખવામાં આવ્યું હતું કે તે એટલા માટે દાદાગીરી કરે છે કારણ કે આદિત્ય પંચોલીની પત્ની ઝરીના વહાબ, દાઉદ ઇબ્રાહિમને રાખડી બાંધે છે. અરે મૂર્ખાઓ, લખતા પહેલા વિચારો, શું એક મુસલમાન, મુસલમાનને રાખડી બાંધે છે?’
આદિત્ય પંચોલી અને ઝરીના વહાબની લવ સ્ટોરી બોલિવૂડની સૌથી ચર્ચિત અને અનોખી વાર્તાઓમાંની એક છે. બંનેની પહેલી મુલાકાત વર્ષ 1986માં નારી હીરાની વીડિયો ફિલ્મ ‘કલંક કા ટીકા’ના સેટ પર થઈ હતી. ઝરીના વહાબના મતે, આદિત્ય તેનાથી ઉંમરમાં લગભગ 5 વર્ષ નાનો હતો અને પહેલી મુલાકાતમાં જ તેને ખૂબ હેન્ડસમ લાગ્યો હતો.
ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને એકબીજાની નજીક આવ્યા અને તેમને પ્રેમ થઈ ગયો. બંનેનો પ્રેમ એટલો પ્રગાઢ બન્યો કે પહેલી મુલાકાતના માત્ર 15 થી 20 દિવસની અંદર જ બંનેએ વર્ષ 1986માં લગ્ન કરી લીધા. આ લગ્ન તે સમયે એટલા માટે પણ ખૂબ ચર્ચામાં રહ્યા કારણ કે ઝરીના મુસ્લિમ હતી અને આદિત્ય હિંદુ.