રાજકોટ મહિલા પોલીસ સ્ટેશન સ્થિત મહિલા સહાયતા કેન્દ્ર એટલે કે પી.બી.એસ.સી. સેન્ટર દ્વારા માનવતાવાદી અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. જેમાં એક દિવ્યાંગ વિધવા મહિલાને છેલ્લા છ વર્ષથી જે ન્યાય નહોતો મળ્યો તે અપાવવામાં આવ્યો છે.
પીડિત મહિલાના લગ્ન 23 વર્ષ પૂર્વે સામાજિક રીત-રિવાજ મુજબ થયા હતા અને લગ્નજીવન દરમિયાન તેમને એક 18 વર્ષનો પુત્ર પણ છે, પરંતુ કમનસીબે આ મહિલાને આંખમાં જામરની તકલીફ થવાને કારણે મગજની નસો સુકાઈ ગઈ હતી જેના લીધે તેમણે જોવાની અને સાંભળવાની શક્તિ સંપૂર્ણપણે ગુમાવી દીધી હતી અને તબીબોએ પણ આ સ્થિતિમાં ઈલાજ અશક્ય હોવાનું જણાવ્યું હતું.
આ કપરી પરિસ્થિતિમાં છ વર્ષ પૂર્વે દારૂના વ્યસનને લીધે પતિનું અવસાન થતા તેઓ નિરાધાર બન્યા હતા અને સાસુ-સસરા સિનિયર સિટીઝન હોવાથી તથા તેમની શારીરિક મર્યાદાઓને કારણે પુત્રવધૂની દેખભાળ કરવી મુશ્કેલ બની હતી. જેથી બે વર્ષ પહેલાં પિયર એટલે કે ભાઈના ઘરે મૂકી દેવાયા હતા.
દિવ્યાંગ વિધવા મહિલાને પોતાનું જીવન ગુજારવા માટે વિધવા પેન્શન અને અન્ય સરકારી સહાયની અત્યંત જરૂર હતી, પરંતુ આ માટે પતિના મરણના દાખલા સહિતના જરૂરી કાગળોની જરૂર પડતી હોય છે જે સાસરી પક્ષ પાસે હતા. પિયરપક્ષ દ્વારા અનેકવાર સાસરિયાંઓ પાસે આ ડોક્યુમેન્ટ્સની માગણી કરવામાં આવી હોવા છતાં કોઈને કોઈ બહાને કાગળો આપવામાં આવતા નહોતા અને આ રીતે લાચારીનો લાભ લેવામાં આવી રહ્યો હતો.