રાજકોટ દૂધના ધંધાર્થી સાથે રૂ. 28 લાખની છેતરપિંડી

શહેરના વિવેકાનંદનગરમાં રહેતા દૂધના ધંધાર્થી યુવકને પોતાની જાળમાં ફસાવી સોનાના વેપારી પિતા-પુત્રે રૂ.28 લાખની છેતરપિંડી આચરી હતી, પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી હતી. કોઠારિયા રોડ પરના વિવેકાનંદનગરમાં રહેતા અને દૂધનો વેપાર કરતા ઘનશ્યામ ભરતભાઇ મહેતા (ઉ.વ.29)એ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મોરબી રોડ પર સેટેલાઇટ ચોકમાં આવેલા પંચવટી પાર્કમાં રહેતા અને પેલેસ રોડ પર એ.યુ.જ્વેલર્સ નામે પેઢી ધરાવતા નિરજ અમર પરમાર અ્ને તેના પિતા અમર ભીમજી પરમારના નામ આપ્યા હતા. ઘનશ્યામ મહેતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે દૂધનો વેપાર કરે છે અને તેનો મોટોભાઇ આશિષ સોનીકામ કરે છે, આશિષનો મિત્ર નિરજ પરમાર ઘરે આવતો જતો હોય તેની સાથે પરિચય હતો.

વર્ષ 2022માં નિરજ અને તેના પિતા અમર પરમાર ઘરે આવ્યા હતા અને કહ્યું હતું કે, કેરલમાં તેમની સોનાની મોટી ફેક્ટરી છે, ફેક્ટરીમાં રોકાણ કરવા માટે રૂ.18 લાખની જરૂરિયાત છે અને ચારેક મહિનામાં રકમ પરત કરી દેશે તેમ કહેતા ઘનશ્યામ મહેતાએ રૂ.18 લાખ આપ્યા હતા. ત્યારબાદ દિવાળીમાં ધંધો સારો ચાલશે માટે 10 લાખ માગ્યા હતા જે રકમનો ચેક આપ્યો હતો જે તરત જ પિતા-પુત્રએ વટાવી લીધો હતો. આમ કુલ 28 લાખ આપ્યા બાદ સોની વેપારી પિતા-પુત્ર રકમ પરત કરવા ગલ્લા-તલ્લા કરતા હોવાથી પરમાર પિતા-પુત્રે છેતરપિંડી આચર્યાનું સ્પષ્ટ થતાં અંતે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *