ગોંડલના વોરા કોટડા રોડ પર બે ખેડૂતો સાથે મગફળીના બિયારણમાં છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતોએ ખરીદેલું નિધિ કંપનીનું ‘ગિરનાર-4’ મગફળીનું બિયારણ નિષ્ફળ ગયુ હોવાના આક્ષેપ સાથે તેમણે જિલ્લા ખેતીવાડી અધિકારીને લેખિત ફરિયાદ કરી છે.
મળતી માહિતી મુજબ, વોરા કોટડા ગામના ખેડૂત મગન બાબુ ગજેરા અને યોગેશ માદળિયાએ ગોંડલ બસ સ્ટેન્ડ પાસે આવેલી ‘આનંદ એગ્રો કેમિકલ’ નામની દુકાનમાંથી આ બિયારણ ખરીદ્યું હતું. તેમણે રૂ.3,250 પ્રતિ મણના ભાવે કુલ રૂ. 48,750નું બિયારણ ખરીદીને 6 જૂન 2026ના રોજ 11 વીઘા જમીનમાં વાવેતર કર્યું હતું.
ખેડૂત મગન ગજેરાએ જણાવ્યું કે, તેમણે યોગ્ય પદ્ધતિથી વાવેતર કર્યું હતું, પરંતુ સાત દિવસ સુધી મગફળી ઊગી ન હતી. તેમણે આનંદ એગ્રોમાં ફરિયાદ કરતાં કંપનીના પ્રતિનિધિઓએ શરૂઆતમાં સમય ન હોવાનું કહી તપાસ ટાળી હતી. બાદમાં તપાસ કરવા આવ્યા ત્યારે બિયારણ ઊંડું વવાયું હોવાનું ખોટું બહાનું કાઢ્યું હતું.