બલ્ગેરિયન યુવતી, જેણે કેડિલા CMD રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી છે તે ગાયબ થઈ ગઈ છે. યુવતીના વકીલે પોલીસ ફરિયાદ દાખલ કરી છે કે યુવતી તારીખ 24 જાન્યુઆરી બાદથી તેના સંપર્કમાં નથી અને તે છેલ્લે ચાંદખેડાના અગોરા મોલ પાસે જોવા મળી હતી. મહત્ત્વની વાત એ છે કે એડવોકેટે દુષ્કર્મ કેસમાં જે સાક્ષીઓનાં નામ પોલીસને આપ્યાં હતાં તેમાંથી એક સાક્ષીનું તાજેતરમાં જ UKમાં શંકાસ્પદ મૃત્યુ થયું છે.
યુવતી શંકાસ્પદ સંજોગોમાં ગાયબ
18 જાન્યુઆરીએ યુવતી તેના વકીલ સાથે પોલીસ અધિકારીને નિવેદન નોંધાવવા જવાની હતી. એ દિવસે તપાસ અધિકારી ડિપાર્ટમેન્ટના કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી નિવેદન નોંધાયું નહોતું. યુવતી પાછી નિવેદન આપવા જાય એ પહેલાં તે શંકાસ્પદ સંજોગોમાં ગાયબ થઈ ગઈ છે.
17થી 24 જાન્યુ. વચ્ચે નિવેદન આપવાનું હતું
હાઈકોર્ટના રાજીવ મોદી સામે ફરિયાદ દાખલ કરવાના હુકમ બાદ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં યુવતીના કેસની તપાસ શરૂ થઈ હતી. અત્યારસુધીમાં પોલીસે રાજીવ મોદીના છારોડી ખાતેના ફાર્મહાઉસના સ્ટાફ અને કર્મચારીઓનાં નિવેદન લીધાં છે. રાજીવ મોદીનો સંપર્ક પોલીસ દ્વારા થઈ શક્યો નથી અને યુવતીની આગળની તપાસ માટે તેણે જોઇન્ટ કમિશનર ચિરાગ કોરડિયાને નિવેદન 17થી 24 જાન્યુઆરી વચ્ચે આપવાનું હતું. આ નિવેદનમાં યુવતી જણાવવાની હતી કે ક્યાં અને કેવી રીતે પોલીસ અધિકારીઓએ તેની દુષ્કર્મની ફરિયાદ નોંધી નહોતી, જેથી તેને ફરિયાદ નોંધવવા માટે હાઈકોર્ટનાં દ્વાર ખખડાવવા પડ્યાં હતાં.