ગાંધીનગરના દહેગામના લિહોડા ગામમાં દેશી દારૂ પીવાના કારણે 2 લોકોના મોત થયા છે. જ્યારે 4 લોકોની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે. ગઈકાલે મોડી રાતે બનાવ બન્યો હતો. લઠ્ઠાકાંડ થયો હોય તેવી આશંકા જોવા મળી રહી છે. જેથી પોલીસ દોડતી થઈ છે. ગામમાં કોઈ બીમાર હોય તેને હોસ્પિટલ ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે બે લોકોના મોત થયા છે. તેમાં એક લિહોડા તેમજ અન્ય એક પનાના મુવાડા ગામનો રહેવાસી હોવાનું હાલ સામે આવ્યું છે. એકની અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં ગામ હિબકે ચડ્યું હતું. બીજી તરફ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી હાલ તપાસ શરૂ કરી છે.
નાનકડા ગામમાં હાહાકાર મચી ગયો
બોટાદ બાદ ગાંધીનગરમાં દારૂ પીવાથી બે લોકોના મોત થયા છે. એક વર્ષ પહેલા બોટાદમાં લઠ્ઠાકાંડ થયો હતો. ત્યારે હવે દહેગામના લિહોડા ગામમાં દારૂ પીવાથી 2 લોકોના મોત થયા છે. લઠ્ઠાકાંડની આશંકા વ્યક્ત કરાઈ છે. દારૂ પીધા બાદ થયા 2 લોકોના મોત જ્યારે 4 વ્યક્તિ સારવાર હેઠળ છે. દારૂ પીધા બાદ મોત થતાં નાનકડા ગામમાં હાહાકાર મચી ગયો છે. પોલીસ અને ફોરેન્સિકની તપાસમાં કેફી પ્રવાહી ઉપરથી પડદો ઉચકાશે. હજુ પણ નશાખોરની સંખ્યા વધે તો ઈમરજન્સી માટે 5 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રખાઈ છે. રેન્જ આઈજી તેમજ જિલ્લા પોલીસવડા પણ હાલ લિહોડા ગામે પહોંચ્યા છે.