PM મોદી હિરોશિમામાં જાપાનના વડાપ્રધાનને મળ્યા

G7 બેઠકમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના હિરોશિમા શહેર પહોંચી ગયા છે. તેઓ શનિવારે જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાને મળ્યા હતા. બંને નેતાઓ વચ્ચે ભારત-જાપાન સંબંધો પર ચર્ચા થઈ હતી. પીએમ મોદીએ હિરોશિમામાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું.

આ મીટિંગ અંગે પીએમ મોદીએ કહ્યું કે જાપાનના પીએમ ફુમિયો કિશિદા સાથે તેમની સારી વાતચીત થઈ. અમે ભારત-જાપાન સંબંધોની સમીક્ષા કરી અને ભારતના G20 પ્રેસિડન્સી અને જાપાનના G7 પ્રેસિડન્સીના ફોકસ વિસ્તારોની પણ ચર્ચા કરી.

પીએમ મોદી આજે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. આ દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા થશે. રશિયા-યુક્રેન યુદ્ધ અંગે અત્યાર સુધી ભારતનું વલણ તટસ્થ રહ્યું છે. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક સંસ્થાઓના વિવિધ મંચો પર કહ્યું છે કે યુદ્ધ કોઈ સમસ્યાનો ઉકેલ નથી.

આ સાથે જ ઈન્ડો-પેસિફિકમાં ચીનનો મુકાબલો કરવા માટે રચાયેલી QUAD દેશોની બેઠક પણ હિરોશિમા શહેરમાં યોજાશે. ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યોજાનારી બેઠક બે દિવસ પહેલા અમેરિકામાં ચાલી રહેલી દેવાની સમસ્યાને કારણે રદ્દ કરવામાં આવી હતી. ભારત ઉપરાંત અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા આ જૂથના સભ્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *