રાજકોટના સ્થાનકવાસી જૈન સમાજનું પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ અંતર્ગત ચાતુર્માસ ચાલી રહ્યું છે. આ દરમિયાન અજરામર સ્થાનકવાસી જૈન સંઘના આંગણે છેલ્લા 30 વર્ષમાં પ્રથમ વખત એક સાથે 35 તપસ્વીઓ 45 દિવસની ‘સિદ્ધિ તપ’ની મહાન તપશ્ચર્યા કરી રહ્યા છે. જેમાં 15 વર્ષની કુમારીકાઓથી લઈને 75 વર્ષના દાદા પણ તપ કરી રહ્યા છે. જેમાં એક જ પરિવારના પાંચ-પાંચ તપસ્વીઓ પણ એક સાથે સિદ્ધિ તપની તપશ્ચર્યા કરી રહ્યા છે. આ દરમિયાન ઓમકારશ્રીજી મહાસતીજી 31 દિવસના આકરા ઉપવાસ કરી રહ્યા છે.
વિવેકચંદ્રજી સ્વામીએ જણાવ્યું હતું કે, રાજકોટના શ્રી અજરામર સ્થાનકવાસી જૈન સંઘના આંગણે પૂજ્યપાદ ગચ્છાધિપતિ આચાર્ય સાધના સમ્રાટ ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામી આદિ 11 સંત-સતીજીની નિશ્રામાં ‘શૌર્ય ભાવ ચાતુર્માસ 2026’ માં અત્યારે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની આરાધના ચાલુ છે.આ પર્વ એટલે જેવી રીતે નદીઓમાં ગંગા મહાન છે, તીર્થમાં શત્રુંજય તીર્થ મહાન છે, મંત્રમાં નવકાર મહામંત્ર મહાન છે, એમ દરેક પર્વમાં પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ એ શહેનશાહ, સમ્રાટ, રાજા, ચક્રવર્તી, રાજાધિરાજ એવું પર્યુષણ મહાપર્વ ખૂબ જ ભાવુલ્લાસ સાથે તપ, જપ, ધર્મદેશના સાથે ચાલી રહ્યું છે.
અહીંયા અજરામર સ્થાનકવાસી જૈન સંઘના આંગણે રેકોર્ડબ્રેક કહી શકાય, છેલ્લા 30 વર્ષમાં અને એમ કહેવાય કે રાજકોટના સ્થાનકવાસી જૈન સમાજમાં છેલ્લા કેટલાય વર્ષોમાં ઐતિહાસિક એવું આ ચાતુર્માસ ઉજવાઈ રહ્યું છે. એમાં એક સાથે 35 તપસ્વીઓ 45 દિવસની ‘સિદ્ધિ તપ’ની મહાન તપશ્ચર્યા કરી રહ્યા છે.એમાં 15 વર્ષની કુમારીકાઓથી લઈને 75 વર્ષના દાદા પણ તપ કરી રહ્યા છે. જેમાં એક જ પરિવારના પાંચ-પાંચ તપસ્વીઓ પણ એક સાથે સિદ્ધિ તપની તપશ્ચર્યા કરી રહ્યા છે.
આ ઉપરાંત અમારા સાધ્વીજી મહારાજ જેઓ અહીંયા રાજકોટમાં જ આજથી 15 વર્ષ પહેલાં અજરામર સંઘના આંગણે જ રાજકોટના જ સમગ્ર સંઘવી પરિવાર દીક્ષિત થયેલા—એવા ઓમકાર શ્રીજી મહાસતીજી પણ એ ઓમકાર ભાવ સાધના સાથે 31 દિવસનું મહાન તપ કરી રહ્યા છે.