રાજકોટના વેપારી અને તેમના પરિચિતો સાથે અમદાવાદના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) અને તેમની કંપનીના અન્ય 2 ડિરેક્ટરોએ મળીને ઇન્ડોનેશિયન કોલસાના ઇમ્પોર્ટ-એક્સપોર્ટના ધંધામાં ઊંચા વળતરની લાલચ આપી ₹1.44 અબજથી વધુ રકમની છેતરપિંડી આચરી હોવાનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજકોટ આર્થિક ગુના નિવારણ શાખા (EOW) એ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આરોપી જય ચોટલીયાએ પોતાની કંપની ‘ટર્નરેસ્ટ રિસોર્સીસ પ્રા.લી.’ માં મોટા પ્રમાણમાં ઇન્ડોનેશિયન કોલસો ઇમ્પોર્ટ કરી સમગ્ર ભારતમાં વેચવાનો કારોબાર હોવાનું બતાવ્યું હતું. તેમણે ફરિયાદી અને અન્ય રોકાણકારોને જમીન-મિલકતો બેંકમાં મોર્ગેજ (જામીન) તરીકે મૂકી સી.સી./લોન અપાવી તે નાણાં કંપનીમાં ડિપોઝિટ કરાવવા લાલચ આપી હતી.
5 વર્ષમાં ₹2000 કરોડના ટર્નઓવરની લાલચ રોકાણકારોને લાલચ આપવામાં આવી હતી કે 5 વર્ષમાં કંપનીનું ટર્નઓવર ₹1500 થી ₹2000 કરોડ થશે અને તેમાંથી ખૂબ મોટો નફો તથા ઊંચું વળતર અપાશે. 5 વર્ષ સુધી ડિપોઝિટ કે મિલકત છોડાવી શકાશે નહીં તેવી શરત રાખી હતી.
ભોગ બનનાર પાસે 1.44 અબજનું રોકાણ કરાવ્યું ફરિયાદી જયેન્દ્રભાઈ મુળજીભાઈ અકબરી અને તેમના પરિચિતો કેશુભાઈ હરિભાઈ બોદર, ખોડાભાઈ મોહનભાઈ બોઘરા, રસિકભાઈ બોદર તેમજ ભાનુબેન બોદર વગેરેની રાજકોટ જિલ્લાના લોધીકાના વડ વાજડી ગામની કિંમતી બિનખેતી જમીન તથા અન્ય મિલકતો ‘ધી કો-ઓપરેટિવ બેંક ઓફ રાજકોટ લી.’માં મોર્ગેજ મૂકાવીને કુલ ₹1,44,19,26,000 (₹1.44 અબજ) ની લોન/સી.સી. મેળવી લીધી હતી.