ગોંડલ તાલુકાના ચોરડી ગામે ગૌચરની જમીનમાં જેટકો કંપની દ્વારા વીજપોલ નાખવાની કામગીરી સામે ગ્રામજનો અને ખેડૂતોનો રોષ વધી રહ્યો છે.
આ વિરોધના ભાગરૂપે ગ્રામજનો અને ખેડૂતો દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગૌચર જમીન બાજુમાં આવેલા સ્મશાન ખાતે જેટકો કંપનીની પ્રતીકાત્મક અંતિમયાત્રા અને નનામી કાઢી, તેના પર છાજીયા લઈ બાદમાં અંતિમવિધિ કરવામાં આવી હતી.
આ વિરોધ પ્રદર્શનમાં ચોરડીના હર્ષદસિંહ ઝાલા, ચેતનભાઈ ગઢીયા સહિત 50થી વધુ ખેડૂતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ અંગે હર્ષદસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, “ગોંડલ તાલુકાના ચોરડી ગામે છેલ્લા ત્રણ દિવસથી સતત વિરોધ કાર્યક્રમો ચાલી રહ્યા છે.
જેટકો કંપની દ્વારા ગૌચરની જમીનમાં થાંભલા નાખવા માટે પોલ નંખાતા હોય, જેના વિરોધમાં અગાઉ બે દિવસ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા અને આજે ત્રીજા દિવસે પ્રતીકાત્મક સ્મશાન યાત્રા કાઢી પૂતળું બનાવી વિરોધ નોંધાવ્યો છે.
અગાઉ લેખિતમાં માંગણીઓ કરવા છતાં અધિકારીઓ દ્વારા ગોળગોળ જવાબ આપવામાં આવે છે અને કોઈ સંતોષકારક ઉકેલ ન આવતા કંપની, કલેક્ટર તંત્ર કે સરકાર સામેનો વિશ્વાસ ડગમગી ગયો છે.