રાજકોટ જિલ્લાના લોધીકા નજીક મોટી મેંગણી ગામે 16 વર્ષીય સગીરાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. માતા પિતા મંદિરે દર્શન કરવા ગયા ત્યારે ઘરે એકલી રહેલી સગીરાએ પંખામાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. લોધીકા પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
સગીરાએ ઘરે ગળેફાંસો ખાધો ગઈકાલે(6 ઓગસ્ટ) રવિના મુકેશભાઈ સોલંકી (ઉં.વ.16)એ ઘરે સાંજે 7 વાગ્યા આસપાસ ગળાફાંસો ખાધો હતો. આ પછી બનાવ અંગે પરિવારને જાણ થતા 108માં જાણ કરી હતી, ત્યારબાદ ડોક્ટરે તપાસીને સગીરાને મૃત જાહેર કરી હતી. લોધીકા પોલીસે મૃતદેહને પોસમોર્ટમ માટે ખસેડ્યો હતો. જોકે આપઘાતનું કારણ પરિવારજનો પણ જાણતા ન હોવાથી પોલીસે ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
ખુલ્લી બારીમાંથી જોતા દેખાયું કે ગળાફાંસો ખાધો મૃતક સગીરાનો પરિવાર માલ ઢોર ચરાવતા હોવાનું સામે આવ્યું છે. પિતા મુકેશભાઈ નાથાભાઈ સોલંકી પાવાગઢ માતાજીના મંદિરે દર્શન કરવા ગયા હતા. ગઈકાલે બપોરે 12 વાગ્યાં આસપાસ માતા જ્યોત્સનાબેન પણ રાજપીપળા ખાતે રામાપીરના મંદિરે દર્શન માટે ગયા હતા અને અન્ય ભાઈ બહેન માલ ઢોર ચરાવવા ગયા હતાં. આ સમયે રવિના ઘરે એકલી હતી. સાંજે મોટી બહેન કોમલ ઘરે આવી ત્યારે જોયું તો ઘરનો દરવાજો બંધ હતો. પાછળના ભાગમાં ખુલ્લી બારીમાંથી જોતા દેખાયું હતું કે રવીનાએ ગળાફાંસો ખાઈ લીધો છે. જેથી કોમલે આસપાસના લોકો અને પોતાના માતાને જાણ કરી હતી.