પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના રેલવે સુરક્ષા બળ (RPF) દ્વારા જુલાઈ 2026 દરમિયાન “સેવા હી સંકલ્પ” અભિયાન હેઠળ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. RPF એ ઓપરેશન અમાનત હેઠળ મુસાફરોનો રૂ. 4.03 લાખની કિંમતનો ખોવાયેલો સામાન પરત કર્યો છે તેમજ ઓપરેશન રેલ સુરક્ષા હેઠળ ચોરી અને કાળાબજારના કેસોમાં 8 આરોપીઓની ધરપકડ કરી છે. આ ઉપરાંત ઓપરેશન સમય પાલન હેઠળ ચેઇન પુલિંગના 38 કેસ નોંધીને 24 આરોપીઓ સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. માનવતાવાદી અભિગમ દાખવીને ઓપરેશન નન્હે ફ્રિશ્તે અને ડિગ્નિટિ હેઠળ 2 બાળકો અને 5 વિખૂટા પડેલા લોકોનું તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
રાજકોટનાં સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીના દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, RPF રાજકોટ ડિવિઝને જુલાઈ માસમાં ઓપરેશન અમાનત હેઠળ રેલવે સ્ટેશનો તેમજ દોડતી ટ્રેનોમાં ભૂલથી છૂટી ગયેલ 22 જેટલા મુસાફરોના કુલ રૂ. 4,03,100 ની કિંમતનો કિંમતી સામાન સંપૂર્ણ સુરક્ષિત રીતે શોધ્યો હતો અને તેના મૂળ માલિકોને સફળતાપૂર્વક સુપ્રત કર્યો હતો. આ કાર્યવાહીથી રેલવે સુરક્ષા બળની સેવાભાવના અને ઉત્કૃષ્ટ કાર્યશૈલી સ્પષ્ટપણે છતી થાય છે.