રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે આજે જસદણ નજીક આવેલા ઘેલા સોમનાથ મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે આગામી સાતમ-આઠમના મેળાની તૈયારીઓની સમીક્ષા કરી હતી.
આ મુલાકાત દરમિયાન જસદણના મામલતદાર, પ્રાંત અધિકારી અને સંબંધિત વિભાગોના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં મેળા દરમિયાન ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સુવ્યવસ્થિત આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
અધિકારીઓએ દર્શનાર્થીઓ માટે પાર્કિંગ, પ્રસાદ વિતરણ, પીવાના શુદ્ધ પાણી અને અન્ય જરૂરી સુવિધાઓના આયોજનની સમીક્ષા કરી હતી. મેળા દરમિયાન સુરક્ષા અને ભીડના અસરકારક સંચાલન માટે મંદિર પરિસરમાં સીસીટીવી કેમેરા સ્થાપિત કરવા અંગે પણ ચર્ચા થઈ હતી. આ વ્યવસ્થાથી દર્શનાર્થીઓની સંખ્યાનો અંદાજ મેળવવામાં અને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં મદદ મળશે.
આગામી સાતમ-આઠમના મેળાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તમામ જરૂરી તૈયારીઓ સમયસર પૂર્ણ કરવા માટે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી.