રાજકોટ નજીક લોઠડા ગામે વરસાદી પાણીના ખાડામાં છબછબીયા કરવા ગયેલા બે માસુમ બાળકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. બનાવ અંગે જાણ થતા આજીડેમ પોલીસે મૃતદેહ પોસમોર્ટમ માટે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. માસુમ બાળકોના આકસ્મિક મોતથી મધ્યપ્રદેશના શ્રમિક પરિવારમાં કલ્પાંત છવાઈ જવા પામ્યો છે.
વરસાદી પાણી ભરેલા ખાડાં બે બાળક ખાડામાં ડૂબ્યા રાજકોટ નજીક લોઠડા ગામે રહેતા અને મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના ચંદ્રરોશન ગૌતમનો 5 વર્ષીય પુત્ર હિતેશ અને ઓમકાર નિશાદની 5 વર્ષીય પુત્રી મનિષા ગઈકાલે ઘર પાસે બીજા ત્રણ બાળકો સાથેજ રમતા હતા, તે દરમિયાન બાળકો રમતા રમતા જે કે ગ્રીનઝોન ઇન્ડસ્ટ્રીમાં એક વરસાદી પાણી ભરેલા ખાડાં પાસે પહોંચી ગયા હતા, જ્યાં બાળકો પાણીમાં છબછબીયા કરતા હતા અને અચાનક હિતેશ અને મનિષા ખાડામાં ડૂબવા લાગ્યા હતાં. જેથી પાડોશમાં રહેતી એક બાળકીએ જોઈ જતા દોડીને બંને બાળકોના પરિવારને જાણ કરતા પરિવારજનો સ્થળ પર દોડી આવ્યા હતા.
પરિવારજનોએ બંને બાળકોને ખાડાંમાંથી બહાર કાઢ્યા હતા, પરંતુ આટલી વારમાં બંને બેભાન થઈ ગયા હતાં. જેથી બંનેને સારવાર માટે 108 મારફતે ઝનાના હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબોએ બાળકોને મૃત જાહેર કર્યા હતા. હાલ બનાવની જાણ થતા આજીડેમ પોલીસ ટીમે મૃતદેહને પોસમોર્ટમ માટે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.