રણબીર કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ રામાયણ: પાર્ટ-1નું ટ્રેલર પોસ્ટપોન થઈ ગયું છે. આ ટ્રેલર પહેલા 24 જુલાઈ એટલે કે આજે રિલીઝ થવાનું હતું, પરંતુ છેલ્લી ઘડીએ તેને ટાળી દેવામાં આવ્યું છે. આ નિર્ણયથી ચાહકો ઘણા નારાજ દેખાયા. બીજી તરફ, રામાનંદ સાગરના ટીવી શો રામાયણમાં માતા સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચિખલિયાએ ફિલ્મમાં તથ્યોને ખોટી રીતે દર્શાવવા પર સવાલ ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે ફિલ્મ રામાયણ, ટીવી શો રામાયણને ટક્કર આપી શકશે નહીં.
દીપિકા ચિખલિયાએ તથ્યો ખોટા દર્શાવવા પર સવાલ ઉઠાવ્યા
રામાનંદ સાગરના ટીવી શો રામાયણમાં માતા સીતા બનેલી દીપિકા ચિખલિયાએ ફિલ્મ રામાયણમાં સીતા બનેલી સાઈ પલ્લવીના વાંકડિયા વાળ દર્શાવવા પર સવાલ ઉઠાવ્યા. વેરાયટી ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં દીપિકાએ સાઈ પલ્લવી પર કહ્યું, “તુલસીદાસની રામાયણમાં સીતાનું વર્ણન બદામ જેવી આંખોવાળી, એક નિશ્ચિત કદ-કાઠી, લાંબા વાળ અને ગોરા રંગવાળી સ્ત્રી તરીકે કરવામાં આવ્યું છે. આ જ વાત રામાનંદ સાગર પણ શોધી રહ્યા હતા અને તેમને તે રૂપ મારામાં દેખાયું.”
આગળ તેમણે કહ્યું, “મારી ઓળખ આજે પણ સીતા તરીકે છે. ઘણીવાર લોકો મારું નામ ભૂલી જાય છે, પરંતુ તેમને યાદ રહે છે કે મેં સીતાનો રોલ કર્યો હતો. આ જ મારી ઓળખ છે. મને લાગે છે કે અમારી રામાયણનો પ્રભાવ ફિલ્મ ‘રામાયણ’ પર ખૂબ ઊંડો રહેશે. મહામારી દરમિયાન જ્યારે અમારી રામાયણનું દૂરદર્શન પર ફરીથી પ્રસારણ થયું હતું, ત્યારે નવી પેઢીએ પણ તેને જોઈ હતી. આવા સંજોગોમાં તે છબીને ભૂંસી નાખવી ખૂબ મુશ્કેલ છે. રામાયણમાં ક્યાંય પણ એવો ઉલ્લેખ નથી કે સીતાજીના વાંકડિયા વાળ હતા.”
અન્નૂ કપૂર પણ સાઈ પલ્લવીની કાસ્ટિંગ પર સવાલ ઉઠાવી ચૂક્યા છે
વરિષ્ઠ અભિનેતા અન્નુ કપૂરે તાજેતરમાં રણબીર કપૂર અભિનીત ફિલ્મ રામાયણમાં માતા સીતાનો રોલ સાઉથ અભિનેત્રી સાઈ પલ્લવીને આપવા પર સવાલ ઉઠાવ્યા છે. અન્નુ કપૂરે તાજેતરમાં ઝૂમને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે ભારતમાં બાયોપિક ન બનાવવી જોઈએ. આગળ અન્નુ કપૂરે નિતેશ તિવારીની આગામી ફિલ્મ રામાયણ પર કહ્યું, ‘શું બનાવશે, જે બનાવશે, તે રામાનંદ સાગરની રામાયણને ટેકનોલોજીની દ્રષ્ટિએ ખૂબ જ શૂ શાં અને ફું ફાં અને શોશેબાજી કરી દેશે. પરંતુ તે પછી તમે એ વિચારો કે તમે સીતાનો રોલ કોને આપ્યો છે. સીતા માતા છે, આ દેશના હિંદુઓ શ્રી રામચંદ્રને નારાયણનો અવતાર માને છે અને માતા સીતાના રોલમાં કોને લીધા છે. હવે તમે વિચારો.’