ઓડિશાના પુરીમાં ગુરુવારે સતત વરસાદ વચ્ચે ભગવાન જગન્નાથની વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રા યોજાઈ. સરકારે રથયાત્રા દરમિયાન થયેલા બે શ્રદ્ધાળુઓના મૃત્યુ અંગે જણાવ્યું કે બંને મૃત્યુ ભાગદોડ કે ભીડ વ્યવસ્થાપનમાં કોઈ ખામીને કારણે થયા નથી.
CMO અનુસાર, રથયાત્રા દરમિયાન તબિયત લથડતા 7 શ્રદ્ધાળુઓને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. તેમાંથી 60 વર્ષના એક શ્રદ્ધાળુનું મૃત્યુ થયું, જેનું કારણ હજુ શોધવામાં આવી રહ્યું છે. જ્યારે, 35 વર્ષથી વધુ ઉંમરના બીજા શ્રદ્ધાળુનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું.
રાજ્ય સરકાર અનુસાર, રથયાત્રામાં લગભગ 10 લાખ શ્રદ્ધાળુઓ સામેલ થયા. મોડી સાંજ સુધી મહાપ્રભુ જગન્નાથનો રથ 200 મીટર, ભગવાન બલભદ્રનો રથ 500 મીટર અને દેવી સુભદ્રાનો રથ 700 મીટર આગળ વધીને અટકી ગયો. હવે શુક્રવારે સવારે 9:30 વાગ્યે પૂજા-ભોગ પછી રથયાત્રા ફરી શરૂ થશે.