રાજકોટ મનપાનાં ફૂડ વિભાગે શહેરમાં ભેળસેળયુક્ત અને અખાદ્ય પદાર્થો ઝડપી પાડવા જુદા-જુદા સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં 121 પેઢી, રેસ્ટોરન્ટ અને ખાદ્ય વ્યવસાયિક એકમોની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન કુલ 55 કિલોગ્રામ અખાદ્ય અને વાસી ખાદ્ય જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો, જ્યારે પ્રિન્ટેડ પસ્તીનો 180 કિલોગ્રામ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
આ સાથે જ સ્ટોરેજ, ફૂડ લાઇસન્સ, સ્વચ્છતા, લેબલિંગ અને અન્ય નિયમોના ભંગ બદલ કુલ 35 વેપારીઓને નોટિસ આપી વિવિધ પેઢીઓ પાસેથી કુલ રૂ.44,500નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. તેમજ જુદા-જુદા 12 નમૂનાઓ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
55 કિલો જથ્થાનો નાશ કરાયો, 5,000નો દંડ વસૂલાયો પ્રાપ્ત વિગત મુજબ આ સમગ્ર કાર્યવાહી દરમિયાન ટાગોર રોડ પર વન-દ્વારકા કોમ્પ્લેક્સ સામે આવેલી શ્રીમાન છોટુજી સમોસેવાલે પેઢી સામે સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં તપાસ દરમિયાન યોગ્ય સ્ટોરેજનો અભાવ, વાસી તૈયાર ખાદ્ય ચીજો અને ઇન્ડસ્ટ્રીયલ સ્ટાર્ચ મળી આવતા 55 કિલો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. પેઢીને રૂ.5,000નો વહીવટી ચાર્જ ફટકારવામાં આવ્યો હતો તેમજ આંબલી-ખાંડની લૂઝ ચટણીનો નમૂનો પણ લેવામાં આવ્યો હતો.