બોલિવૂડનો ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ આમિર ખાન 61 વર્ષની ઉંમરે ત્રીજીવાર લગ્ન કરવા જઈ રહ્યો છે. આમિરે જ્યારથી જાહેરમાં આ વાતની પુષ્ટી કરી છે, ત્યારથી સોશિયલ મીડિયા પર યુઝર્સની વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. એક તરફ વિકી કૌશલે સ્ટારને લગ્ન માટે વધામણા આપ્યા છે, તો બીજી તરફ નેટિઝન્સે 33 વર્ષના દીકરા જુનૈદ સામે ત્રીજા લગ્નની જાહેરાત કરવા બદલ આમિરની ઝાટકણી કરી છે.
150 મહેમાનોની હાજરીમાં ‘ઘરેલું’ લગ્ન કરશે
આમિર ખાને રાજકુમાર હિરાણીની OTT ડેબ્યૂ સિરીઝ ‘પ્રિતમ એન્ડ પેડ્રો’ની એક ઇવેન્ટ દરમિયાન પુષ્ટિ કરી હતી કે, તે ગર્લફ્રેન્ડ ગૌરી સાથે 5 જુલાઈના રોજ લગ્ન કરી રહ્યો છે.
ઇન્ડિયા ટુડે’એ સુત્રોને ટાંકીને લખ્યુ છે કે, આમિર ખાનના લગ્નમાં બાળપણના મિત્રો, પરિવારના સભ્યો અને ઇન્ડસ્ટ્રીના ખાસ લોકો મળીને 150 આસપાસ લોકો હશે. આમિર અને ગૌરીએ જાતે મહેમાનોની લિસ્ટ તૈયાર કરી છે અને લગ્નના લંચનું મેન્યૂ પણ પોતાની પસંદગીનું પસંદ કર્યું છે.
આમિર તેનાથી 14 વર્ષ નાની ગૌરી સ્પેટ સાથે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કરશે. દિવસના પહેલાં ભાગમાં આ લગ્ન યોજાશે. બાદમાં તે પરિવાર અને મિત્રો સાથે લંચ કરશે. સૂત્રો અનુસાર આમિર અને ગૌરી મનપસંદ ભોજન ઉપરાંત ખાવાની તૈયારીઓ પર પણ જાતે નજર રાખી રહ્યા છે. લગ્નમાં બંનેના બાળકો પણ હાજર રહેશે. લગ્નમાં ફિલ્મમેકર આશુતોષ ગોવારિકર અને રાજકુમાર સંતોષી પણ સામેલ થવાની આશા છે.