રાજકોટના મેટોડા પાસેનો ન્યારાના જૂના બ્રિજનો એક તરફનો રસ્તો ખરાબ હોવાથી ત્યાં નવો બ્રિજ મંજૂર થયો છે જેને પગલે જૂનો બ્રિજ ગઈકાલે(2 જુલાઈ) ગુરુવારે તોડવામાં આવ્યો. જેથી આજે 3 જુલાઈ રાજકોટ શહેરથી મેટોડા જીઆઇડીસી જતા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ સહિતના વાહનચાલકોને વરસાદમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મોટા વાહન ચાલકોને 1 કિલોમીટર ડાયવર્ટ થઈને જવું પડશે. જ્યારે ધોરાજી પાસે સાતવડી નદી પર નવો બ્રિજ બનાવવાનું કામ ચાલુ હતું. જેથી ડાયવર્ઝન રાખવામાં આવ્યુ હતું. જોકે વરસાદના કારણે ડાયવર્ઝન ધોવાઈ ગયો હતો. જેને કારણે ઝાંઝમેરથી સોડવદર જવા માંગતા વાહનચાલકોને 14 કિલોમીટર ફરીને જવું પડી રહ્યું છે.
રાજકોટથી મેટોડા જતા રસ્તા પર વાગુદડ પાસેનો ન્યારા બ્રિજ જૂનો થઈ ગયો હોવાથી તે બ્રિજને ગઈકાલે(2 જુલાઈ) ગુરુવારે તોડી પાડવામાં આવ્યો હતો. 10 મીટરના 4 ગાળામાંથી 2 ગાળા તોડવામાં આવ્યા છે. નાના વાહનો અવરજવર કરી શકે તે માટે બાજુમાં જ 10 મીટર લેન ખૂલ્લી રાખવામાં આવી છે. જ્યારે મેટોડા જીઆઇડીસીમાં જતા ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ સહિતના મોટા વાહન ચાલકો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જેથી તેઓને એક કિલોમીટર ફરીને જવાનું રહેશે. વરસાદ વિરામ બાદ રૂ.2.50 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવાનું કામ શરૂ કરવામાં આવશે.