રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આવેલી ગાંધીનગર સોસાયટીમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જેમાં પતિએ જ પોતાની પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી તેના પર છરી વડે જીવલેણ હુમલો કર્યો છે. હાલ સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ દ્વારા આરોપી પતિ વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જો કે બનાવને અંજામ આપ્યા બાદ આરોપી પતિ નાસી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
પતિએ પત્નીને છરીના આડેધડ ઘા માર્યા શહેનાઝબેન મોઇનભાઈ ગોગદા (ઉ.વ.30) પર તેમના પતિ મોઇને આજે સવારે નિર્દયતાપૂર્વક છરી વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. શહેનાઝબેન પોતાના ઘરના કામકાજમાં વ્યસ્ત હતા અને વોશિંગ મશીનમાં કપડાં નાખી સોફા પર બેઠા હતા, ત્યારે મોઇન ત્યાં આવી બોલાચાલી કરતા બન્ને વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થઈ હતી. આ પછી ઉશ્કેરાયેલા પતિએ ઘરમાં રહેલી છરી વડે શહેનાઝબેનના શરીર અને પગના ભાગે અનેક ઘા ઝીંકી દીધા હતા.
આરોપી પતિ મોઇન ઘટનાસ્થળેથી ફરાર હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા શહેનાઝબેનને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ, પોતાની પત્ની પર જીવલેણ હુમલો કર્યા બાદ આરોપી પતિ મોઇન ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે. બનાવ અંગેની જાણ થતાં ભક્તિનગર પોલીસે આરોપી પતિ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.