રાજકોટમાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. શહેરના એક વિસ્તારમાં રહેતી સગીરાનું તેની પાડોશમાં જ રહેતા સગીર દ્વારા અપહરણ કરી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. સગીરા સાથે મિત્રતા કેળવ્યા બાદ લગ્નની લાલચ આપી સુરત લઈ જવામાં આવી હતી. જ્યાં સગીર આરોપીએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. સગીરાના પિતાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સગીરાનું રાજકોટથી અપહરણ કરી સુરત લઈ ગયો હતો પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ, શહેરમાં રહેતી એક સગીરા કે જેની ઉંમર 15 વર્ષ, 9 માસ અને 26 દિવસ છે. તેની સાથે પડોશમાં જ રહેતા 16 વર્ષીય સગીરે પહેલા મિત્રતા કેળવી હતી અને ત્યારબાદ સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ કરી સુરત લઇ ગયો હતો. જે બાદ ત્યાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. 13 જૂનના બનેલી આ ઘટના અંગે સગીરાના પિતાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં પુત્રીના અપહરણની ફરિયાદ નોંધાવી હતી.
સગીર સામે ગુનો નોંધાયા બાદ શોધખોળ હાથ ધરવામાં આવી પોલીસ તપાસ કરતા અધિકારી ACP રાજેશ બારીઆએ જણાવ્યું હતું કે, સગીરાનું અપહરણ કરનાર આરોપી સગીર છે અને પડોશમાં જ રહે છે. સગીર લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કરી ગયો હતો અને ત્યારબાદ સગીરા સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. જોકે આ બાબતે ફરિયાદ નોંધાતા સગીરને ઝડપી લઈ આગળની કાર્યવાહી કરવામાં આવશે.