એક્ટર ઇશાન ખટ્ટરે તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ પર ‘આસ્ક મી એનિથિંગ’ સેશન રાખ્યું હતું. આ દરમિયાન એક ફેને ઇશાનને તેના ધર્મ વિશે સવાલ કર્યો. ફેને લખ્યું કે તે તેના ધર્મને લઈને મૂંઝવણમાં છે. આના પર ઇશાને પહેલા એક મીમ દ્વારા જવાબ આપ્યો અને પછી પોતાની વિચારસરણી સ્પષ્ટ કરી. એક્ટરે કહ્યું કે તે કોઈ લેબલમાં નહીં, પરંતુ માનવતા, દયા અને પ્રકૃતિમાં વિશ્વાસ રાખે છે.
ઈશાને પોતાના જવાબમાં અલગ-અલગ ધર્મોનું મિશ્રણ કરતા લખ્યું, ‘જય જીસસ, શ્રીઅલ્લાહ, હોલી સ્પિરિટ દી ફતેહ.’ આ એક લોકપ્રિય ઇન્ટરનેટ મીમ છે. આના તરત બાદ તેણે ગંભીરતાથી પોતાની વાત રજૂ કરી. તેણે લખ્યું, ‘મારી આસ્થા પ્રકૃતિ, દયા, માનવતા અને રચનામાં છે.’ આ જવાબ સાથે તેણે એક તસવીર પણ શેર કરી, જેમાં તે હોટ-એર બલૂનવાળા એક સુંદર બેકગ્રાઉન્ડમાં જોવા મળી રહ્યો છે.
ઈશાનનો પરિવાર અલગ-અલગ સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિમાંથી આવે છે. તેની માતા નીલિમા અઝીમ એક મુસ્લિમ પરિવાર સાથે સંબંધ ધરાવે છે, જ્યારે તેના પિતા રાજેશ ખટ્ટર એક પંજાબી હિંદુ છે. અભિનેતાના પરિવારમાં વિવિધતા રહી છે, જેની અસર તેની વિચારસરણીમાં પણ જોવા મળે છે. ઈશાન બોલિવૂડ અભિનેતા શાહિદ કપૂરનો સાવકો ભાઈ છે. નીલિમા અઝીમના પહેલા પતિ પંકજ કપૂર હતા, જેનાથી શાહિદ કપૂરનો જન્મ થયો હતો.