રાજકોટ જિલ્લામાં વસ્તી ગણતરીની પ્રક્રિયાને વેગવંતી બનાવવામાં આવી છે. આ અંગે વિગતો આપતા કલેક્ટરે જણાવ્યું હતું કે, વસ્તી ગણતરીના ભાગરૂપે હાલ હાઉસ લેવલ બ્લોક્સનું ન્યુમરેશન કરવામાં આવી રહ્યું છે. જેમાં રાજકોટ જિલ્લામાં કામગીરી માટે કુલ 2,954 હાઉસ લેવલ બ્લોક્સ આઇડેન્ટિફાય કરવામાં આવ્યા છે, જેને આધારે સર્વેક્ષણ આગળ વધી રહ્યું છે. આ સર્વેક્ષણને સમયસર પૂર્ણ કરવા વહીવટી તંત્ર દ્વારા મોટી સંખ્યામાં કર્મચારીઓ મેદાને ઉતારવામાં આવ્યા છે. જિલ્લામાં કુલ 2,725 ઇન્યુમરેટર્સ અને 450 જેટલા સુપરવાઇઝર્સ હાલ ફિલ્ડમાં સક્રિયપણે ફરજ બજાવી રહ્યા છે. આ ટીમો દ્વારા અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લાના આશરે 33,000 ઘરોની મુલાકાત લઈને સર્વેની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. આ વસ્તી ગણતરીની સમગ્ર પ્રક્રિયા ચાલુ મહિનાના અંત સુધીમાં સંપૂર્ણ રીતે પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટના નવનિયુક્ત મેયર ડો.નેહલ શુકલએ તારીખ 28ના રોજ શહેરના 23મા મેયર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ એક બાદ એક પ્રજાલક્ષી નિર્ણયો લેવાનું શરૂ કર્યું છે. જે અંતર્ગત આજે વધુ એક મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં રોજિંદા કામો સિવાય નીતિવિષયક નિર્ણયો અને મહત્વની બેઠકો માટે પણ પૂરતો સમય મળી રહે તે માટે જનતા જનાર્દનને મળવા માટે ચોક્કસ સમય તેમજ વાર પણ નક્કી કરવામાં આવ્યા છે. એટલું જ નહીં બધા લોકોને આ અંગેની જાણ થાય તે માટે મેયર ચેમ્બરની બહાર એક ખાસ બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે. નવા શેડ્યૂલ અનુસાર, હવે સામાન્ય જનતા મેયરની રૂબરૂ મુલાકાત બુધવાર, ગુરૂવાર અને શુક્રવારે બપોરે 12 થી 1.30 અને સાંજે 4.40 થી 6.10 વાગ્યા સુધી કરી શકશે. મેયરે જણાવ્યું હતું કે, શાસકો દર બે અઠવાડિયે એકવાર સોમ-મંગળવાર દરમિયાન ગાંધીનગર જતા હોય છે અને મહિનામાં બે શનિવારની રજા હોય છે, તેથી બાકીના ત્રણ દિવસ લોકો માટે ફિકસ કર્યા છે. જોકે, અગત્યના પ્રશ્નો કે ઘટનાના સમયે લોકો આ સિવાય પણ મળી શકશે. રાજકોટમાં જનતા માટે આ પ્રકારે સમય ફિકસ કરાયો હોય તેવી સંભવત: આ પ્રથમ ઘટના છે.