સુરતમાં ગત 29 અને 30 મે,2026ના રોજ વેડ દરવાજા પાસે આવેલા વર્ષો જૂના નાસીરનગર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત સાથે 100 જેટલા મકાનનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જો કે આ ડિમોલિશન ગુજરાતના ઈતિહાસનું સૌથી રહસ્યમય ડિમોલિશન ગણાવી શકાય એવું છે. સસ્પેન્સ ફિલ્મને આંટી મારે એવા રહસ્યના તાણાવાણા ગૂંથાયેલા છે. જો કે આ ભૂતિયા ડિમોલિશનમાં હવે રાજકારણની ગંધ આવી રહી છે.
અગાઉ જેમ ગુજરાત યુનિવર્સિટી કાંડમાં SOGની શંકાસ્પદ ભૂમિકા જોવા મળી હતી અને એક નેતાનો ભોગ લેવાઈ ગયો હતો. તેમ હવે આ ડિમોલિશનમાં પણ SOGના DCP નકુમ હાજર હતા, જે ફરી એકવાર SOGની શંકાસ્પદ ભૂમિકા તરફ સવાલ ઉભા કરી જાય છે. ત્યારે આ વખતે પણ કોઈ નેતાનો ભોગ લેવાય છે કે કેમ? તેની પર સૌની નજર મંડાયેલી છે. ત્યારે આ બધા વચ્ચે સુરતના ચર્ચાસ્પદ ભૂતિયા ડિમોલિશન મામલે 10 શંકા ઉપજાવતા સવાલના જવાબ ક્યારે મળશે તેની સૌકોઈ રાહ જોઈ રહ્યા છે.
રાજકીય સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ ડિમોલિશન કોઈ નેતાને રાજકીય રીતે ‘માપ’માં રાખવા થયું હોય તેમ લાગે છે, સુરતના જ 2 દિગ્ગજ નેતાઓ એકબીજાને શેહ, માત આપવાના ખેલમાંં હોય અને એટલે જ આ મેટર આટલી ચગી હોવાનું પણ સામે આવી રહ્યું છે. એટલે જ રાજકીય પંડિતો આ મેટરને રાજકારણ સાથે જોડી રહ્યા છે.
સુરતમાં હાલ એક ચર્ચા એ પણ ચાલી રહી છે કે બિલ્ડર માટે જમીન ખાલી કરાવ્યા બાદ એક જગ્યાએ 10 કરોડ અને એક જગ્યાએ 5 કરોડનો વહીવટ કરવાનો હતો. પણ ક્યાંક પૈસા પહોંચ્યા નહીં અને સમગ્ર મામલો બહાર આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જેમને પૈસા મળ્યા નહીં તેમણે જ સામેવાળાને કંટ્રોલમાં કરવા આ વાત લિંક કરી, પણ સમય જતાં આ મામલો કાબૂ બહાર ગયો હોવાનું પણ સાંભળવા મળી રહ્યું છે.