CBSEએ 12મી બોર્ડ પરીક્ષાની આન્સર શીટના વેરિફિકેશન અને રી-ઇવેલ્યુએશન માટે અરજી કરવાની અંતિમ તારીખ 6 જૂનથી વધારીને 7 જૂન કરી દીધી છે. બોર્ડના જણાવ્યા અનુસાર, આ નિર્ણય વિદ્યાર્થીઓને વધુ સમય આપવા અને પોર્ટલ પર આવેલી તકનીકી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
CBSE એ 2 જૂને પોસ્ટ-રિઝલ્ટની સમસ્યાઓ માટે ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યું હતું. ત્યારબાદ ઘણા વિદ્યાર્થીઓએ આન્સર શીટ જોવા અને વેરિફિકેશન, રી-ઇવેલ્યુએશન માટે અરજી કરતી વખતે ઘણી મુશ્કેલીઓ આવવાની ફરિયાદ કરી હતી.
બીજી તરફ, બોર્ડે પોર્ટલ પર થયેલા સાયબર હુમલાના મામલે FIR નોંધાવી છે. દિલ્હી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. બોર્ડના જણાવ્યા અનુસાર, 2 જૂનથી શરૂ થયેલા પોસ્ટ-રિઝલ્ટ સર્વિસિસ પોર્ટલ પર છેલ્લા ત્રણ દિવસમાં સતત સાયબર હુમલા કરવામાં આવ્યા હતા, જેને સમયસર રોકી દેવામાં આવ્યા હતા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, 4 જૂન સુધીમાં પોસ્ટ-રિઝલ્ટ સર્વિસિસ પોર્ટલ દ્વારા કુલ 70,433 અરજીઓ મળી છે. જેમાં 7,314 માર્ક્સ વેરિફિકેશન અને 63,119 રી-ઇવેલ્યુએશનની અરજીઓનો સમાવેશ થાય છે. CBSEનું રી-ઇવેલ્યુએશન પોર્ટલ 1 જૂને શરૂ થવાનું હતું, પરંતુ ટેકનિકલ કારણોસર તેને 2 જૂને લોન્ચ કરવામાં આવ્યું.
પોર્ટલ શરૂ થતાં જ કેટલાક તોફાની તત્વોએ તેને ઠપ કરવાનો પ્રયાસ કર્યો. તેમણે ‘ડિનાયલ ઓફ સર્વિસ’ હુમલો કર્યો. જેના કારણે માત્ર બે મિનિટમાં વેબસાઇટ પર 15 લાખ હિટ્સ આવી ગઈ. આ ઉપરાંત, એક લાખથી વધુ વખત પરવાનગી વગર ફાઇલ ખોલવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો.
બોર્ડના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી કોઈપણ પ્રકારના ડેટા લીક અથવા અનધિકૃત એક્સેસનો કોઈ કેસ સામે આવ્યો નથી. સાયબર હુમલાઓનો સામનો કરવા માટે IIT કાનપુર, IIT મદ્રાસ, ડિજિટલ ઇન્ડિયા કોર્પોરેશન, I4C, CERT-In અને અન્ય કેન્દ્રીય એજન્સીઓની સાયબર સુરક્ષા ટીમોએ મદદ કરી.