કોહલી અફઘાનિસ્તાન સામેની વનડે સિરીઝ નહીં રમે

ભારતના સિનિયર બેટર વિરાટ કોહલી હેમસ્ટ્રિંગની ઈજાને કારણે અફઘાનિસ્તાન સામેની વનડે સીરિઝમાંથી બહાર થઈ ગયા છે. ન્યૂઝ એજન્સી PTIએ BCCIના એક સૂત્રને ટાંકીને કોહલીના સીરિઝમાંથી બહાર થવાની પુષ્ટિ કરી છે. જોકે, BCCIએ આ મામલે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી.

એજન્સીએ લખ્યું- ‘કોહલી હેમસ્ટ્રિંગની ઈજાને કારણે વનડે સીરિઝમાંથી બહાર છે.’ વિરાટને દુનિયાના સૌથી ફિટ ક્રિકેટરોમાં ગણવામાં આવે છે. 37 વર્ષના કોહલીએ RCBને સતત બીજો ખિતાબ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે ફાઇનલ મેચમાં અણનમ 75 રનની ઇનિંગ રમી હતી.

અફઘાનિસ્તાનનો ભારત પ્રવાસ 6 જૂનથી શરૂ થઈ રહ્યો છે. ટીમ મુલ્લાંપુર સ્ટેડિયમ પર 6 જૂનથી સિંગલ ટેસ્ટ મેચ રમશે. ત્યારબાદ 14 જૂનથી 3 વનડે મેચોની સિરીઝ રમાશે.

રોહિત શર્માની ફિટનેસ પર પણ નજર

કોહલી ઉપરાંત, પૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્માની ફિટનેસ પર પણ સસ્પેન્સ છે. તેમને હેમસ્ટ્રિંગ ઈજામાંથી સાજા થવાની શરતે ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. રોહિતને ઈજાના કારણે IPLની કેટલીક મેચોમાંથી બહાર રહેવું પડ્યું હતું. રોહિતની ફિટનેસ પર અંતિમ નિર્ણય ટીમ મેનેજમેન્ટ અને મેડિકલ સ્ટાફના રિપોર્ટના આધારે લેવામાં આવશે.

સિરીઝની વ્યુઅરશિપ પર અસર પડશે

કોહલી અને રોહિતની ગેરહાજરીથી અફઘાનિસ્તાન સામેની વનડે સિરીઝની વ્યૂઅરશિપ પર અસર પડશે. કારણ કે, આ બંને સ્ટાર ફક્ત વનડે ક્રિકેટ જ રમે છે. બંનેએ ટી-20 અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *