વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા ભાસ્કર વિઠ્ઠલ વાડામાં બે પક્ષો વચ્ચે થયેલી ઉગ્ર મારામારીને કારણે ભારે હંગામો સર્જાયો હતો. ગટર સફાઈ મુદ્દે શરૂ થયેલો વિવાદ થોડા જ સમયમાં ઉગ્ર બની જતા બંને પક્ષ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. બે જૂથ વચ્ચે મારામારી દરમિયાન પથ્થરમારો પણ થયો હતો, જેના કારણે વિસ્તારમાં દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ મામલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાવપુરાની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિ કાબૂમાં લેવા કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. ભાસ્કર વિઠ્ઠલના વાડામાં ગટર લાઇનની સફાઈ મુદ્દે બે પક્ષ વચ્ચે બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. ઘટનાને પગલે બંને પક્ષે રાવપુરા પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રથમ ફરિયાદમાં ભાસ્કર વિઠ્ઠલના વાડામાં રહેતા રવિન્દ્ર વામનરાવ મોરે (ઉં.વ.58) એ જણાવ્યું હતું કે, તેઓ પંજાબી ફૂડની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. બનાવના દિવસે સવારે તેઓ ઘરે પૂજા કરી રહ્યા હતા ત્યારે કોર્પોરેશનના કર્મચારીઓ ગટર સાફ કરવા માટે આવ્યા હતા. તે દરમિયાન તેઓ તેમની બહેન ગીતા મોરે તથા કોર્પોરેશનના કર્મચારીઓ સાથે વાતચીત કરી રહ્યા હતા.